રાજ્યમાં Mucormycosis ના નિયંત્રણ માટે મુખ્યપ્રધાન રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા Mucormycosis ની સારવાર માટે રૂ. 3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને શનિવારે સાંજે મુખ્યપ્રધાન નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી દરદીઓમાં Mucormycosis ના વધી રહેલા વ્યાપ અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા અને વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી
રાજ્યમાં વધતા જતા Mucormycosis રોગના નિયંત્રણ તેમજ આ રોગથી સંક્રમિત થનારા દર્દીઓની સારવાર માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.મુખ્યપ્રધાને કરેલા આ નિર્ણયો અનુસાર મ્યુકોમાયરોસીસ રોગ વધુ ફેલાતો અટકાવવા અને જેમને આ રોગની અસર થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરે છે.
રાજ્ય સરકારે બધી સિવીલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા Mucormycosis ની સારવાર માટે રૂ. 3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે.સમગ્ર રાજ્યમાં મ્યુકોમાયરોસીસના આવા 100 થી વધુ જેટલા કેસો નોંધાયા છે.
અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં મ્યુકોમાયરોસિસ ના સંક્રમિતોની સારવાર માટે 60-60 બેડ સાથેના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે અને 19 જેટલા દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.
શું છે મ્યુકરમાઈકોસિસ રોગ? જવલ્લે જ જોવા મળતો Mucormycosis ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકરમાઈકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકરમાઈકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકરમાઈકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને Mucormycosis રોગ થવાની સંભાવના વધુ છે. મ્યુકરમાકોસિસ ફૂગ શરીરના કયા ભાગમાં પ્રસરી રહી છે તેના પર આ રોગના લક્ષણો નિર્ભર છે.
મ્યુકરમાઈકોસિસના લક્ષણો આ રોગના લક્ષણોમાં મુખ્યત્વે એક બાજુનો ચહેરો સોજી જવો, માથાનો દુખાવો, નાક બંધ થવું કે સાઇનસની તકલીફ, મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો, આંખમાં દુખાવો, દ્રષ્ટિ ઓછી થવી, તાવ,કફ ,છાતીમાં દુખાવો, શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો, ઉબકા આવવા કે ઉલટી થવી, આંતરડામાં રક્તસ્ત્રાવ થવો જેવા લક્ષણો જોવા મળે છે.
મ્યુકરમાઈકોસિસથી બચવા શું કરવું? મ્યુકરમાઈકોસિસથી બચવા N95 માસ્ક પહેરવું, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે. મ્યુકરમાઈકોસિસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ જેવી કે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે. મ્યુકરમાઈકોસિસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દુર કરવા પડે છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ આ મ્યુકોમાયરોસિસ રોગની અસર તેમજ સારવાર માર્ગદર્શન રાજ્યના વરિષ્ઠ તજજ્ઞ તબીબો દ્વારા લોકોને મળી રહે તેવી વ્યવસ્થાઓ માટે પણ આરોગ્ય વિભાગને સૂચન કર્યું હતું.