છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લો આમ તો સૌંદર્યથી સભર છે અને તેમાંય ખાસ કરીને નસવાડી તાલુકાના ડુંગરો પરથી વહેતા ધોધ લોકોના આકર્ષણનુ કેન્દ્ર તો બન્યા છે પણ રોડ (Road) રસ્તાના અભાવે ધોધ (Water Fall) સુધી પહોંચવુ થોડું મુશ્કેલ છે. તંત્ર ધોધના સ્થળ પર યોગ્ય સુવિધાઓ ઉભી કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. ધોધ સુધી પહોંચવા માટે પાકો રસ્તો ન હોવાથી સહેલાણીઓ કુદરતી સૌંદર્યની મજા માની શકતા નથી. જેને લઈને ગ્રામજનોએ પાકો રસ્તો બનાવવામાં આવે તેવી તંત્ર પાસે માગ કરી છે.
છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો ડુંગર અને જંગલ વિસ્તારોથી ઘેરાયેલો છે. વરસાદના વિરામબાદ આ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યુ છે. અહીં રહેલા ઝરણાં અને પહાડો પરથી પડી રહેલો પાણીનો ધોધ કોઈ પણ વ્યક્તિનું મન મોહી લે. પણ દુર્ગમ વિસ્તારોમાં આવેલા ધોધના નજારાને નિહાળવું થોડું મુશ્કેલ છે. કારણકે આ ધોધ સુધી પહોંચવા માટે પાકો રસ્તો નથી. બાઈક લઈને થોડે સુધી જવાય છે, પરંતુ ધોધ સુધી પહોંચવા માટે તો પગપાળા જ જવું પડે છે. જોકે કેટલાક પ્રકૃતિના ચાહક ગમે તેમ કરી અહીં સુધી પહોંચે જ છે અને સુંદર નજારાને નિહાળી ધન્યતા અનુભવે છે.
નસવાડી તાલુકો એ નર્મદા જિલ્લાને અડીને આવેલો તાલુકો છે. નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળવા અસંખ્ય લોકો જતા હોય છે. ત્યારે નર્મદામાં આવતા પ્રકૃતિ પ્રેમી સહેલાણીઓ આ ધોધને નિહાળવા પણ આવે તો તેમનો પ્રવાસ વધુ યાદગાર બની જાય. એટલુ જ નહીં આ ધોધની આસપાસ રહેતા લોકોને પણ પ્રવાસીઓ વધવાથી રોજગારીની તકો વધી શકે. ત્યારે તંત્ર પાકા રસ્તા બનાવી આપે તો અહી સુધી લોકો આવી અને કુદરતી સૌંદર્યને નિહાળી શકે.