
અમદાવાદ, 26 ઑગસ્ટ 2025 : અમદાવાદમાં ચાલુ ચોમાસા દરમિયાન પાણી ભરાવ સાથે ભારે વરસાદ પડતા સાબરમતી નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયુ છે. વાસણા બેરેજના દરવાજા ખોલાયા બાદ નદીમાંથી છોડેલા પાણીને કારણે કાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
સરખેજના બાકરોલ ગામમાં પાણીના સ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેને કારણે ગ્રામિણ વિસ્તારોમાં ખાસ કરીને ખેડૂતોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ખેડૂતોએ જણાવ્યું કે પાણી ખેતરોમાં ફરી વળતા દૂધી અને રીંગણાના પાકને ગંભીર નુકસાન પહોંચ્યું છે. ઘણી જગ્યાએ વાવેતર ધરાસાય થયું છે, જેનાથી આર્થિક નુકસાન થવાની શક્યતા વધી છે.
સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ છે, કારણ કે જોઈન્ટ પાણીના સ્તર વધવા પામે તો પાણી ઘરો સુધી ઘૂસી જવાની પણ શક्યતા છે. તંત્ર તરફથી સતત પાણીના પ્રવાહ અને વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.
દસક્રોઈ તાલુકાના અનેક વિસ્તારો પર પણ આ અસર દેખાઈ રહી છે, જ્યાં બંને કાંઠા નદીના પાણીના પ્રભાવ હેઠળ છે. તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને જરૂર પડીએ ત્યાં રાહત કામગીરી હાથ ધરવા માટે ટીમો તૈયાર રાખવામાં આવી છે.
મહત્વનું છે કે વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ સુધી ખોલાતા સાબરમતી નદીમાં 94 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ બેરેજમાં પાણીનું સ્તર 131 ફૂટની સપાટીએ છે અને છોડવામાં આવતું પાણી સતત વધી રહ્યું છે. સુરક્ષા દૃષ્ટિએ શહેરના 19 જેટલા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયો છે. સુભાષ બ્રિજ ખાતેથી વ્હાઈટ સિગ્નલ એલર્ટ અપાયું છે, જ્યારે સંત સરોવર ડેમમાંથી પણ 96,234 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. નદીના કાંઠા વિસ્તારના લોકો માટે તંત્રએ એલર્ટ જાહેર કરીને તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક એલર્ટ રહેવાની સૂચના આપી છે.
પાલડી, જૂના વાડજ, નવા વાડજ, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તાર, જમાલપુર, રાયખડ, કોચરબ, ગ્યાસપુર, સુભાષ બ્રિજ વિસ્તાર પીરાણા, પીપળજ, ગોપાલપુર, શાહવાડી, કામા હોટલ વિસ્તાર, સાબરમતી પાવર હાઉસ, સરખેજ, દૂધેશ્વર, માધુપુરા, શાહપુરમાં એલર્ટ અપાયુ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:19 am, Tue, 26 August 25