
વડોદરામાં ફરી એક વાર અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવા પ્રયાસ કર્યો છે. સંવેદનશીલ વિસ્તાર જૂનીગઢીમાં 2 જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો થયો છે. એક કોમના લોકોએ નવરાત્રિ પંડાલને નિશાન બનાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે પથ્થરમારા અને બબાલનો વીડિયો પણ સામે આવ્યા છે. ઘટના સમયે ભય ફેલાતા લોકોમાં નાસભાગ મચી હતી. મળતી માહિતી અનુસાર AI નિર્મિત મક્કા-મદીનાની વિવાદિત પોસ્ટ અંગે વિવાદ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોસ્ટને લઇ એક કોમના લોકોએ એકઠાં થઇને ઉગ્ર વિરોધ કર્યો છે. જેના પગલે વડોદરા સિટી પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં છે.
વડોદરામાં 2 કોમના વચ્ચે થયો જોરદાર પથ્થરમારો, નવરાત્રિ પંડાલને નિશાન બનાવ્યાનો આરોપ#Navratri2025 #Navratri #Garba2025 #Gujarat #Vadodara #TV9Gujarati pic.twitter.com/o06qMKcsAE
— Tv9 Gujarati (@tv9gujarati) September 20, 2025
આરોપ છે કે અન્ય કોમના યુવકે સોશિયલ મીડિયા પર AI મારફતે મક્કા-મદીનાની વિવાદિત પોસ્ટ કરી હતી. જેને લઇ માહોલ ઉગ્ર બન્યો હતો. માહોલ એટલો ગરમાયો કે, કેટલાક લોકોના ટોળાએ ઉશ્કેરાઇને પથ્થરમારો કર્યો છે. રસ્તા પર મોટા-મોટા પથ્થરો જોવા મળી રહ્યા છે. કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. તો, ઘટનાની જાણ થતા એડિશનલ પોલસી કમિશનર સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો છે. પોલીસે ધર્મગુરૂઓની મદદ લઇને પબ્લિક એનાઉન્સમેન્ટ કર્યું હતુ. ત્યારબાદ રસ્તો ક્લીયર કરાવ્યો હતો. મહત્વનું છે કે પોલીસે ફરિયાદની બાંહેધરી આપતા લોકોએ વિરોધ પાછો ખેંચ્યો હતો.
વડોદરામાં AI નિર્મિત ધાર્મિક પોસ્ટને લઇ પથ્થરમારો, 100થી વધુ લોકોની કરાઈ અટકાયત#Navratri2025 #Navratri #Garba2025 #Gujarat #Vadodara #TV9Gujarati pic.twitter.com/Mjn3f3MEaP
— Tv9 Gujarati (@tv9gujarati) September 20, 2025
વડોદરા શહેરમાં શાંતિ ડહોળવા મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર પથ્થરમારો કરનાર ટોળકીના 100થી વધુ લોકોની અટકાયત કરી છે. 2થી વધુ પોલીસ ફરિયાદ દાખલ થઇ હોવાના અહેવાલ છે. વિવાદિત પોસ્ટ કરનારને પણ રાઉન્ડ કર્યાની પણ સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે. હાલ જૂનીગઢી વિસ્તારમાં અજંપાભરી શાંતિનો માહોલ જોવા મળ્યો છે. સિટી પોલીસ મથકની બહાર પણ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં કોઇ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ સર્તક બન્યા છે.