
અમદાવાદ શહેરમાં રેસ્ટોરન્ટ્સ અને હોટલોમાં પીરસાતા ભોજનની ગુણવત્તા તેમજ સ્વચ્છતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. નરોડા વિસ્તારમાં પંજાબી ફૂડ માટે જાણીતી ‘ગ્રીન રીઓ રેસ્ટોરન્ટ’માં જમવા ગયેલા એક પરિવારને અત્યંત કડવો અનુભવ થયો હતો, જેના પગલે ગ્રાહકે તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
વિગતો મુજબ, ગ્રાહકે રેસ્ટોરન્ટમાં શાક સાથે ગરમાગરમ તંદૂરી રોટી મંગાવી હતી. અડધું ભોજન પૂરું કર્યા બાદ અચાનક તંદૂરી રોટીમાંથી એક લાંબો વાળ નીકળતાં ગ્રાહકના હોશ ઊડી ગયા હતા. અખાદ્ય અને અસ્વચ્છતાભરી આ સ્થિતિ જોઈને ગ્રાહકે તાત્કાલિક સ્થળ પર હોબાળો મચાવ્યો હતો અને હોટલ મેનેજરને બોલાવી આકરી ઝાટકણી કાઢી હતી. આટલેથી ન અટકતાં ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ એન્ડ હેલ્થ વિભાગમાં લેખિત ફરિયાદ દાખલ કરી રેસ્ટોરન્ટ સામે કડક પગલાં ભરવા રજૂઆત કરી છે.
સવાલ તો એ ઊભો થાય છે કે જ્યારે સરકાર કડક કાયદાકીય ચેકિંગ કરી રહી છે અને જે રેસ્ટોરન્ટમાં કોઈ પણ પ્રકારની ખામી કે સમસ્યા જણાય તેને દંડ ફટકારી સીલ મારી રહી છે, ત્યારે થોડા દિવસો પછી ફરીથી તે રેસ્ટોરન્ટ કે હોટેલને ચાલુ કરવાની મંજૂરી આપી દેવામાં આવે છે, જેના કારણે કોઈપણ ખાણીપીણીની હોટેલ, રેસ્ટોરન્ટ કે ખાદ્યચીજો વેચનારાઓના મગજમાં એક વાત ઘર કરી ગઈ છે કે મહાનગરપાલિકા કે તંત્રમાંથી કોઈ આવશે, થોડો દંડ ભરવો પડશે અને પછી ફરીથી એ જ ધંધો યથાવત શરૂ થઈ જશે;
કોઈ પણ વેપારીને પોતાના ગ્રાહકોના સ્વાસ્થ્યની ચિંતા નથી, તેઓ ફક્ત અંધાધૂંધ પૈસા કમાવવામાં જ વ્યસ્ત છે અને જ્યારે આવી બેદરકારી કે ગંદકી બહાર આવે છે ત્યારે ‘આમાં શું થઈ ગયું, આ તો સામાન્ય છે’ કહીને હાથ ખંખેરી નાખે છે, પરંતુ આવા દૂષિત ભોજનના લીધે જો કોઈ ગ્રાહકને કોઈ ગંભીર રોગ થઈ જાય કે તેનું મૃત્યુ નીપજે તો તેની જવાબદારી કોની રહેશે ? આજ સુધીનો રેકોર્ડ રહ્યો છે કે આવા ગુનાહિત કૃત્ય માટે કોઈ પણ વેપારી કે બેદરકાર અધિકારીને માત્ર નજીવા દંડ સિવાય કોઈ દાખલારૂપ સજા થઈ નથી અને કદાચ ભવિષ્યમાં પણ નહીં થાય…!
શહેરમાં અવારનવાર જાણીતી હોટલોના ભોજનમાંથી જીવાત કે અસ્વચ્છ વસ્તુઓ નીકળવાના બનાવો વધી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મોંઘા ભાવ વસૂલતી આવી રેસ્ટોરન્ટ્સ સામે માત્ર દંડ કે નોટિસ આપવાને બદલે લાયસન્સ રદ કરવા જેવા દાખલારૂપ પગલાં ભરવામાં આવે, જેથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકી શકે.
(Input Credit: Jignesh Patel)