
ગયા વર્ષે જૂન મહિનામાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન ગેટવિક માટે ઉડેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 (બોઇંગ 787-8 ડ્રીમલાઇનર) ટેક-ઓફની ગણતરીની સેકન્ડોમાં જ મેઘાણીનગર પાસે આવેલી બી. જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ કેમ્પસ પર તૂટી પડી હતી. આ ભયાનક અકસ્માતમાં 260 થી 274 લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું. ફ્રી પ્રેસ જર્નલે પોતાની રિપોર્ટમાં લખ્યું છે કે, હવે આ ઘટનાના એક વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે બી. જે. મેડિકલ કોલેજના મોર્ગ (મુરદાઘર) માંથી બહાર આવેલા ગુપ્ત દસ્તાવેજો અને પ્રત્યક્ષદર્શીઓની જુબાનીએ આખી તપાસનો રૂખ બદલી નાખ્યો છે.
અત્યાર સુધી એવી અટકળો ચાલતી હતી કે કદાચ પાઇલટની ભૂલને કારણે પ્લેન ક્રેશ થયું હશે, પરંતુ પ્રત્યક્ષદર્શીઓની જુબાની આ વાતોને સંપૂર્ણપણે નકારે છે.
અકસ્માતમાં પોતાના પરિવારના ત્રણ સભ્યોને ગુમાવનાર રોમિન વોહરાએ જણાવ્યું કે, “જ્યારે કેપ્ટન સુમીતનો મૃતદેહ વ્હીલચેર પર લાવવામાં આવ્યો ત્યારે હું માત્ર થોડા જ ફૂટ દૂર હતો. તેમનો મૃતદેહ બેઠેલી મુદ્રામાં હતો અને તેમના બંને હાથ પ્લેનના કંટ્રોલ હેન્ડલ (સ્ટીયરીંગ) પર બરાબર જકડાયેલા હતા, જાણે તેઓ છેલ્લી સેકન્ડ સુધી પ્લેનને ક્રેશ થતું બચાવવા સંઘર્ષ કરી રહ્યા હોય.”
બી. જે. મેડિકલ કોલેજના એક ડૉક્ટરે પણ પુષ્ટિ કરી છે કે કેપ્ટનનો ચહેરો ઓળખી શકાય તેવો હતો, માત્ર પીઠ અને સાઇડનો ભાગ બળ્યો હતો. તેમનો મૃતદેહ મોર્ગના એક અલગ રૂમમાં રાખવામાં આવ્યો હતો અને તેમના હાથ સ્ટીયરીંગ પકડવાની પોઝિશનમાં જ અકડાઈ ગયા હતા. સીનિયર પાઇલટોના મતે, આ સ્થિતિ સાબિત કરે છે કે કેપ્ટન કોઈ મોટી સિસ્ટમ ફેલ્યોર સામે લડી રહ્યા હતા, તેમણે જાણીજોઈને પ્લેન ક્રેશ કર્યું નહોતું.
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક રિપોર્ટ મુજબ, ઉડાન ભરતાની સાથે જ વિમાનના બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ‘કટ-ઓફ’ એટલે કે બંધ થઈ ગયા હતા. કૉકપિટ વોઈસ રેકોર્ડર (CVR) માંથી જાણવા મળ્યું હતું કે ક્રેશ પહેલા કેપ્ટને કો-પાઇલટને પૂછ્યું હતું કે, “તેં એન્જિન કટ-ઓફ કેમ કર્યું?” જેના જવાબમાં કો-પાઇલટે કહ્યું હતું, “મેં એવું નથી કર્યું!”
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ અને અમેરિકન સુરક્ષા એજન્સીઓના અહેવાલો મુજબ, વિમાનની લિથિયમ બેટરી અથવા ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ફ્યુઅલ સ્વીચો આપોઆપ બંધ થઈ ગઈ હોવાની પ્રબળ આશંકા છે. આ અકસ્માતમાં માત્ર વિશ્વાસ કુમાર રમેશ નામના એકમાત્ર મુસાફરનો જ જીવ બચ્યો હતો. ફ્રી પ્રેસ જર્નલે પોતાની રિપોર્ટમાં લખ્યું છે કે, આ ઘટનાની અંતિમ તપાસ રિપોર્ટ હજુ આવવાની બાકી છે, પરંતુ આ નવા ખુલાસાએ એરલાઇન્સ અને સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાવી દીધી છે.
નવા પુરાવાઓ સંકેત આપે છે કે કેપ્ટન સુમીત સભરવાલ હીરો હતા જેમણે સેંકડો મુસાફરોને બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. હવે જોવાનું એ રહેશે કે ઓફિશિયલ ફાઇનલ રિપોર્ટમાં આ ટેકનિકલ ખામી પાછળનું અસલી કારણ શું બહાર આવે છે.