બોટાદમાં પોલીસની (Botad Police) સરાહનીય કામગીરી સામે આવી છે. ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં શોધીને બાળકના મા-બાપને પરત સોપ્યું છે. મળતી માહીતી મુજબ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે 18 મે, 2022 ના રોજ બોટાદના હરણકુઇમાં રાજુભાઇના દવાખાના પાસે રહેતા જાનુબેન રાજુભાઇ પરમારે આવી જણાવ્યું હતું કે તેમનો દીકરો નીતિન સવારે સબીહા રોડ તરફ ડી.જે જોવા ગયો હતો. તે પછી ઘરે પરત આવ્યો નથી, તેમ જણાવતા બાળકની શોધખોળ કરવા બોટાદ પોલીસ સ્ટેશન પી.આઇ. જે.વી.ચૌધરી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી હતી. બોટાદ ટાઉન વિસ્તારમાં શોધખોળ કરી હતી.
જે પૈકી પોલીસ સબ ઇન્સપેકટર બી.જી.વાળાની એક ટીમ દ્વારા બોટાદ નેત્રમ સી.સી.ટી.વી કમાન્ડ કંન્ટ્રોલ ખાતે જઇને સી.સી.ટી.વી કેમેરા ચેક કર્યા હતા. જેમા આ બાળક એક લગ્નની જાનમાં ઢોલ વગાડતો જોવા મળ્યો હતો. જે આધારે ત્વરિત કાર્યવાહી કરવામાં આવતા ટેકનીકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ લઈને આ બાળક ધાંગધ્રા ખાતે હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આ બાળકને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે લાવીને બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં બની રહેલા ગુનાઓને રોકવા માટે સુરત પોલીસ હવે ખુબ એલર્ટ બની રહી છે. યુવતીઓ તેમજ નાના બાળકોની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા અનેક અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તાર જે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. આ વિસ્તારમાંથી અવાર નવાર બાળકો ગુમ થયાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈને પાંડેસરા પોલીસ ખુબ જ સતર્ક બની છે. પાંડેસરા પોલીસ સ્ટેશન પીઆઇ એ.પી. ચૌધરી દ્વારા ખાસ એક ટીમ બનાવવામાં આવી. જે ટીમ કોઈ બાળક ગુમ થયાના સમાચાર માલુમ પડતાની સાથે કામ પર લાગી જાય છે. અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી દેતી હોય છે.
બાળકો ગુમ થવાની ઘટના ન બને તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા ખાસ કરીને જીઆઇડીસી વિસ્તારોમાં તેમાં પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા પાંડેસરા ભેસ્તાન ઉદ્યોગ ભારતી સ્કુલ ખાતે ડે- કેર પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોકરીયાત માતા- પિતા પોતાના બાળકોને સવારે આઠ વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી મુકી નિશ્વિતપણે નોકરી ધંધો કરી શકશે, તેમજ આ ડે કેરમાં શિક્ષકોની સુવિધાઓ છે. જેમાં આખા દિવસ દરમિયાન બાળકોને અલગ અલગ પ્રવૃતિઓ કરાવી બાળકોને તેઓના ભવિષ્ય માટે સજજ કરશે તથા બાળકોને સલામતી તથા સ્વસ્થ વાતાવરણ તેમજ સારૂં જમવાનું પણ પુરુ પાડવામાં આવશે, પાંડેસરા પોલીસની આ સેવાકીય કામગીરીને ખરેખર સરાહનીય કામગીરી ગણી શકાય. છતાં પણ લોકોએ પોતાના બાળકો પર ધ્યાન આપવું જરૂરી છે. પોતાના નાના બાળકો ક્યાં રમે છે કોની સાથે રમતા હોય તે ધ્યાન રાખવું જરૂરી છે.