ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી વિવિધ વિભાગો જેવા કે ડિગ્રી એન્જિનિયરિંગ,ડિગ્રી ડિપ્લોમા અને ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજકેટની પરીક્ષાનું આયોજન થતું હોય છે, ત્યારે વર્ષ 2023 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ નક્કી કરવામાં આવી છે. જે અનુસાર આગામી 03 એપ્રિલના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 03 એપ્રિલ 2023ના રોજ સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
ગુજકેટની પરીક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા એક માળખું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ માટે બહુ વિકલ્પ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્ર રહેશે. જેમાં ભૌતિક વિજ્ઞાન,રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો માટે કુલ 40 પ્રશ્નો અને 40 ગુણ રહેશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પેપર માટે 120 મિનિટ જ્યારે જીવવિજ્ઞાન અને ગણિત માટે 60-60 મિનિટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રીતે લેવામાં આવશે એટલે કે તેમાં 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નો માટે 120 મિનિટનો સમય વિદ્યાર્થીઓને આપવામાં આવશે. મહત્વનું છે કે ગુજકેટ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે. ગુજકેટ માટેની પરીક્ષાનો સત્તાવાર પત્ર 23 જાન્યુઆરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે.
JEE Mainની પરીક્ષા આવતીકાલે યોજાશે
તો બીજી તરફ પહેલાથી નિર્ધારિત JEE Main Exam Date 24 જાન્યુઆરીથી જ થશે. લેટેસ્ટ નોટિસ અનુસાર, હવે જેઈઈ મેઇન 2023 ફર્સ્ટ સેશનની પરીક્ષા આ તારીખે યોજાશે. 24, 25, 29, 30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2023ના રોજ પરીક્ષા યોજાશે. જ્યારે jeemain.nta.nic.in પર પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કહ્યું હતું કે, JEE મુખ્ય સત્ર 1, 2023 માટેના એડમિટ કાર્ડ જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયે જાહેર કરવામાં આવશે
Published On - 2:03 pm, Mon, 23 January 23