બનાસકાંઠાના સાંસદપદે ચૂંટાયા બાદ, આજે વાવના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ, ગેનીબેન ઠાકોરનું કોંગ્રેસ કાર્યાલય ખાતે સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આ સન્માન સમારોહમાં બોલતા, ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા વાકપ્રહારો કરતા કહ્યું કે, આ વખતની ચૂંટણીમાં ભાજપનું અભિમાન તુટ્યું છે. ભાજપ છાતી ફુલાવીને કહેતુ હતું કે, આ વખતે ઈકો વાનમાં સમાય એટલા જ કોંગ્રેસના સાંસદો ચૂંટણી જીતશે. પરંતુ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધને એકલુ ભાજપ પણ સરકાર ના બનાવી શકે તેવી સ્થિતિમાં લાવી દીધુ છે. સરકાર બનાવવા 272 સભ્યો જોઈએની વાત ઠેર ઠેર ભાજપ કરતું હતું. 272 સભ્યોની એ વાત હવે ભાજપને કાયમ યાદ રહી ગઈ હશે. તેઓ એકલા 272 તો શું 250 સુધી પણ ના પહોચ્યા.
ગેનીબેન ઠાકોરે, કહ્યું કે પહેલી ચૂંટણી 1995માં લડી હતી ત્યારે ઉંમર 18 વર્ષની હતી. પંચાયતથી પાર્લામેન્ટ સુધીની 9 ચૂંટમી લડી. આજે જે કાંઈ છુ તે કોંગ્રેસ પાર્ટીને આભારી છુ. ગેનીબેને કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે પણ કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ પાસે હાલમાં ત્રણ વિકલ્પ છે. પહેલા વિકલ્પ તરીકે, વ્યક્તિગત સ્વાર્થ માટે માતૃ પક્ષ છોડીને લોકોની જેમ સામા પક્ષમાં જતા રહેવું. બીજો વિકલ્પ છે, સંપૂર્ણપણે રાજકારણ છોડીને માત્ર સામાજિક કામ કરવું અથવા તો ઘરે બેસી રહેવું. અને ત્રીજો વિકલ્પ છે, સંઘર્ષનો રસ્તો અપનાવી અભિમાની ભાજપ સામે લડવું, અમે આ ત્રીજો રસ્તો અમે અપનાવ્યો, સંઘર્ષ કર્યો, ભાજપ સામે લડ્યા અને જીત્યા.
બનાસકાંઠાની જનતાના વખાણ કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે, મને બનાસની બેન નું બિરુદ બનાસકાંઠાની જનતાએ આપ્યું છે. બનાસકાંઠામાંથી સંસદસભામાં જવા માટે મેં પ્રથમવાર મત માંગ્યા તો લોકોએ મને મતની સાથે સાથે ચૂંટણી લડવા માટે રૂપિયા પણ આપ્યા હતા. બનાસકાંઠાનો એકપણ કાર્યકર રિસાયો નથી કે નારાજ પણ નથી થયો. બનાસકાંઠાના કોંગ્રેસ કાર્યકરોએ ખંતથી કામ કર્યું છે. આજે હું રાજીનામું આપવા ગઈ ત્યારે આનંદ થયો હતો. મારું રાજીનામું વ્યક્તિગત સ્વાર્થ કે વિશ્વાસઘાત માટે નહોતું. મેં રાજીનામું આપતા સમયે કોંગ્રેસ નેતાઓને કહ્યું કે, હું પાછી વિધાનસભામાં પરત ફરીશ.
ભાજપ ઉપર ચાબખા મારતા ગેનીબેને કહ્યું કે, અયોધ્યા અને તેની આજુબાજુ 100 કિલોમીટરના વિસ્તારની એક પણ બેઠક ભાજપ જીતી શક્યું નથી. રામના નામે રાજકારણ કરનારાને ક્યારેય સફળતા નથી મળતી. કોંગ્રેસ પાર્ટીનું ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું. જ્યાં સુધી કોંગ્રેસની સરકાર ના આવે ત્યાં સુધી રાત્રે સરખી ઊંઘ નથી લેવાની.નેતા તરીકે મતદાતાઓને ઠેસ પહોંચે એવું કંઈપણ કામ ના થાય એવી પ્રભુને પ્રાર્થના કરુ છું.
Published On - 6:53 pm, Thu, 13 June 24