Saurashtra : હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની ફરી એન્ટ્રી થઇ છે. જેમાં રાજકોટ, ભાવનગર, દેવભૂમિદ્વારકા, ધોરાજી અને જુનાગઢ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. જેથી આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
રાજકોટના ધોરાજીમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઇ છે. જેમાં ધોરાજી, તોરણીયા, પરબડી, જમના વડ, ફરેની પરબડી સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. 25 દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાએ મન મૂકી વરસવાનું શરુ કર્યું છે. વરસાદને કારણે મુરઝાઇ રહેલી મોલાતને જીવતદાન મળ્યું છે. કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોને જીવતદાન મળ્યું છે. મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશી છવાઇ છે.
ભાવનગર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં વરસાદી પડયો છે. મહુવા આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી છે.
તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ખંભાળિયા શહેરમાં વરસાદનું આગમન થયું છે. ખંભાળિયા તાલુકામાં ધીમધારે વરસાદ નોંધાયો છે. ભાણવડ તેમજ આસપાસના પંથકમાં વરસાદ નોંધાયો છે.
જૂનાગઢના કેશોદ પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. મેઘરાજાએ લાંબા સમય બાદ એન્ટ્રી મારતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વરસાદી ઝાપટાને પગલે અસહ્ય ગરમીથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી છે. તો મેઘરાજા વરસતા ગ્રામ્ય પંથકના ખેડૂતો પણ ખુશ થયા હતા.
Published On - 5:14 pm, Sat, 10 July 21