Bhavnagar: આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમાન ભાવનગરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra of Lord Jagannathji) વિવિધતાસભર તો છે જ હવે તે રંગબેરંગી પણ બની રહી છે. આ રથયાત્રામાં વિવિધ ફલોટ્સ તો આકર્ષણનું કેન્દ્ર બનેલાં છે જ પરંતુ તેની સાથે રૂટ પરથી રથ પસાર થાય ત્યાં આગળ તત્કાળ રંગોળી બનાવી મનોહર દ્શ્ય પણ ઉભું થઇ રહ્યું છે. રથયાત્રાના 17.5 કિલોમીટરના રૂટ પર 250 કિલો ચિરોડીના ઉપયોગ થકી 125 જેટલી ઇન્સ્ટન્ટ રંગોળી દોરવાની સેવા શહેરના શૈલેષભાઇ શાહ પરિવારના 8 સભ્યો આપી રહ્યાં છે. શાહ પરિવારના સભ્યશ્રી શૈલેષભાઈ પોતે ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલાં છે અને દેશના અલગ અલગ ભાગોમાં તેમનું ગૃપ રંગોળી દોરવાં માટે તેમજ ડેકોરેશન સંબંધિત કામો માટે જાય છે. છેલ્લાં બે વર્ષના અંતરાલ બાદ ફરીથી શરૂ થયેલ ભગવાન જગન્નાથજીની 37મી રથયાત્રા માટે ભગવાનના વિચરણના માર્ગો પર શાહ પરિવાર ભગવાનની રંગબેરંગી રંગોળી પૂરીને ભગવાનની ભક્તિ કરે છે.
શાહ પરિવારના સભ્યો દ્વારા છેલ્લાં 13 વર્ષથી આ સેવા આપવામાં આવી રહી છે. વર્ષ 2009માં રથયાત્રા સમિતિના સંપર્કમાં આવ્યા બાદ સમિતિની મિટિંગમાં શૈલેષભાઈ આ વિચાર રજૂ કર્યો હતો અને તેને અમલી બનાવી વર્ષોથી આ સેવા આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે, પોતાના જ પરિવારના નાનામાં નાના બાળકથી મોટામાં મોટા વડીલ સૌ સાથે મળી આ સેવા કરી રહ્યા છે. તેઓ પોતાની કાર તેમજ છોટા હાથીમાં જરૂરી સામાન લઈ સમગ્ર રૂટમાં નિર્ધારિત ૧૨૫ પોઇન્ટ પર રંગોળી બનાવવામાં આવશે. આ રંગોળીઓ તૈયાર કરવા માટે 250 કિલો જેટલી ચિરોડીનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, નાનામાં નાની રંગોળીથી લઈને સૌથી મોટી ૨૫×૨૫ની રંગોળી તેઓ આ રથયાત્રામાં દોરે છે. તેઓ દ્વારા સરેરાશ ૭ મિનિટમાં એક રંગોળી બનાવાય છે અને ઇન્સ્ટન્ટ રંગોળી પહિંદ વિધિ થઇ ગયાં બાદ રાત્રીના ૧૦ વાગ્યા સુધી રથયાત્રાના માર્ગો પર બનાવવામાં આવે છે.
ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા એવી ભાવનગરની 37મી રથયાત્રાને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ તેમની સાથે ભાવનગરના નેક નામદાર મહારાજ વિજયરાજસિંહ ગોહિલ પણ જોડાયાં હતાં. ‘મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે’, હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’ના ભક્તોના નાદ વચ્ચે ભગવાન જગન્નાથ, ભ્રાતા બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની 17.5 કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ સુભાષનગરના નીજ મંદિરેથી નિકળ્યાં હતાં.
શહેરનાં ભાવિકભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો.
શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, વર્ષમાં એકવાર ભગવાન સામેથી નગરજનોના ક્ષેમકુશળ પૂછવાં સામેથી લોકો વચ્ચે જાય છે. ભારતીય સંસ્કૃતિ એકમાત્ર એવી સંસ્કૃતિ છે જેમાં ભગવાન પરિવારમાં માને છે અને પોતાના ભાઇભાંડુ સાથે લોકોના સામેથી ખબરઅંતર પૂછવાં જાય છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન મામાના ઘરે જાય છે અને પોતાના ઘરે પરત ફરે છે. આવું વિશ્વમાં માત્ર ભારતીય સંસ્કૃતિમાં જોવાં મળે છે. તેમણે વધુમાં કહ્યું કે, ભગવાન જગન્નાથની રથયાત્રા બે વર્ષના કોરોનાના કપરા સમય બાદ રંગેચંગે નીકળી રહી છે ત્યારે ભાવનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખા ભાવનગરમાં સુશોભન અને શણગાર કરવામાં આવ્યો છે. રથયાત્રાથી આપણી ધર્મભાવના દ્વારા અનોખી શ્રધ્ધાના દર્શન થાય છે.