ભાવનગરમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોની ચિંતા વધી, પાક બચાવવા શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવાની કરી માગ- Video

ભાવનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતામાં છે. કપાસ, મગફળી જેવા ચોમાસુ પાકનું વાવેતર સુકાઈ રહ્યું છે, જેનાથી લાખો રૂપિયાનું રોકાણ જોખમમાં છે. પાક બજાવવા માટે ખેડૂતો શેત્રુંજી ડેમમાંથી તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની માંગ કરી રહ્યા છે.

ભાવનગરમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોની ચિંતા વધી, પાક બચાવવા શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવાની કરી માગ- Video
| Edited By: | Updated on: Jun 29, 2026 | 4:49 PM

રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રીના પોતાના જિલ્લા ભાવનગરમાં જ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ચોમાસું શરૂ થવાનો સમય થઈ ગયો હોવા છતાં વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી. મહુવા સહિત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો કપાસ, મગફળી, તલ, બાજરી, જુવાર, મગ, અડદ અને અન્ય ચોમાસુ પાકનું વાવેતર કરી ચૂક્યા છે, પરંતુ વરસાદ ખેંચાતા હવે વાવેલા બિયારણ સુકાવાની સ્થિતિ સર્જાઈ છે. લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ ખેડૂતોને પાક બગડવાનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ ખેડૂતો માટે ભાવનગર જિલ્લાનો સૌથી મોટો પાલીતાણા શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તો ખેડૂતોને પિયત માટે રાહત થઈ શકે છે

ભાવનગર જિલ્લાના મહુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની આતુરતાથી રાહ જોતા ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે. અષાઢ મહિનો શરૂ થવા આવ્યો હોવા છતાં વરસાદનું આગમન ન થતાં ખેતી પર સંકટના વાદળો ઘેરાયા છે. ખેડૂતોએ સમયસર કપાસ, મગફળી, તલ, બાજરી, જુવાર, મગ, અડદ સહિતના ચોમાસુ પાકનું વાવેતર કરી દીધું છે. બિયારણ, ખાતર, દવા, ખેત મજૂરી અને અન્ય ખર્ચ મળીને એક વીઘા દીઠ અંદાજે 20 થી 25 હજાર રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. પરંતુ વરસાદ ન પડતાં વાવેલું બિયારણ હવે જમીનમાં જ બગડવાની સ્થિતિમાં પહોંચી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે જો હવે પણ વરસાદ નહીં પડે તો ફરીથી વાવણી કરવી પડશે, જેનાથી ખર્ચમાં વધુ વધારો થશે. બીજી તરફ હાલનું બિયારણ બહાર કાઢીને વેચવામાં આવે તો પણ તેની સંપૂર્ણ કિંમત મળવાની શક્યતા ઓછી છે.

આ સંજોગોમાં ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તો હાલની પરિસ્થિતિમાં પાકને બચાવી શકાય તેવી ખેડૂતોની આશા છે. આ મુદ્દે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને પણ રજૂઆત કરવામાં આવી છે. હવે સૌની નજર આકાશ તરફ છે. આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ભાવનગર જિલ્લાના ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે અને આ વર્ષની ચોમાસુ ખેતી પર ગંભીર અસર પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

શું ગુજરાતમાં 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD પણ ન આવડે? પ્રવેશોત્સવ દરમિયાન ખૂલી શિક્ષણની પોલ- જુઓ Video

Follow Us