
ભરૂચ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ હવે અસલી ખેલ પ્રમુખની ખુરશી માટે શરૂ થયો છે. ભરૂચ જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં સત્તાના સૂત્રધારો નક્કી કરવા માટે ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ રમીલા બારા, સુરેશ મકવાણા અને નિખિલ પટેલની નિરીક્ષક ટીમ આવતીકાલથી સ્થાનિક દાવેદારોને સાંભળશે.
| સ્થાનિક સ્વરાજની સંસ્થા | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અન્ય | સત્તા |
| ભરૂચ જિલ્લા પંચાયત | 34 | 27 | 3 | 4 | ભાજપ |
| ભરૂચ નગરપાલિકા | 44 | 29 | 10 | 5 | ભાજપ |
| અંકલેશ્વર નગરપાલિકા | 36 | 25 | 11 | 0 | ભાજપ |
| જંબુસર નગરપાલિકા | 28 | 16 | 11 | 1 | ભાજપ |
| આમોદ નગરપાલિકા | 24 | 8 | 15 | 1 | કોંગ્રેસ |
જિલ્લા પંચાયતમાં ભાજપે 34 માંથી 27 બેઠકો જીતીને દબદબો જાળવી રાખ્યો છે. અહીં પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાની શક્યતા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપ ફરી એકવાર રજપૂત સમાજ પર પસંદગી ઉતારી શકે છે.
ભરૂચ નગરપાલિકામાં આદિવાસી અનામત ઉમેદવાર પ્રમુખ તરીકે ચાર્જ સંભાળશે. ભાજપ પાસે 29 બેઠકોની સ્પષ્ટ બહુમતી છે. પ્રમુખ પદ માટે નીચેના નામો મોખરે છે:
અંકલેશ્વરમાં ભાજપે 25 બેઠકો સાથે સત્તા જાળવી છે. અહીં બક્ષીપંચના પ્રતિનિધિને સુકાન સોંપવામાં આવશે. સંભવિત ઉમેદવારો:
જિલ્લામાં માત્ર આમોદ નગરપાલિકા એવી છે જ્યાં કોંગ્રેસે 15 બેઠકો મેળવીને ભાજપને સત્તાથી દૂર રાખ્યું છે. અહીં કોંગ્રેસના શાસનમાં પ્રમુખ કોણ બનશે તેના પર સૌની મીટ મંડાણી છે.જંબુસરમાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે. અહીં પણ પ્રમુખપદનો તાજ હાંસલ કરવા ઉમેદવારોએ લોબિંગ શરૂ કરી દીધું છે.
ભરૂચ જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં પ્રમુખની નિમણૂક માટે ભાજપ દ્વારા સુનિયોજિત કવાયત હાથ ધરવામાં આવી છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા સામાજિક સમીકરણો, અનુભવ, વફાદારી અને સ્થાનિક રાજકીય પરિસ્થિતિ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ પ્રક્રિયાને આગળ વધારવા માટે પ્રદેશ ભાજપના નિરીક્ષકો આવતીકાલથી જિલ્લામાં ધામા નાખશે. નિરીક્ષકોમાં રાજ્યસભાના સાંસદ રમીલા બારા, પ્રદેશ સંયોજક સુરેશ મકવાણા અને નિખિલ પટેલનો સમાવેશ થાય છે જે વિવિધ વિસ્તારોમાં જઈને પ્રમુખ સહિતના હોદ્દાઓ માટેના દાવેદારોને વ્યક્તિગત રીતે સાંભળશે. ઉપરાંત તેઓ જિલ્લાનાં મોવડી મંડળ સાથે વિસ્તૃત ચર્ચા કરી સ્થાનિક સ્તરે રાજકીય પરિસ્થિતિ અને સામાજિક સંતુલન અંગે માહિતી એકત્રિત કરશે.
આ સમગ્ર પ્રક્રિયામાં પાર્ટી માટે સૌથી મોટો પડકાર યોગ્ય સંતુલન જાળવીને એકમત નિર્ણય લેવો રહેશે કારણ કે પ્રમુખપદ માટે દાવેદારો વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. અંતિમ નિર્ણયમાં પાર્ટી હાઈકમાન્ડનો અભિગમ, સ્થાનિક નેતાઓની ભલામણ અને સમાજગત સમીકરણો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં મહત્વના રાજકીય નિર્ણયો લેવાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો : Breaking News : ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો, બે સપ્તાહમાં રિપોર્ટ માંગ્યો