Breaking News : વિશ્વમાં ગુંજ્યો ભારતનો દમ : 62 હજાર ટન LNG લઈને હોર્મુઝ પાર કરી પ્રથમ ભારતીય LNG ટેન્કર “દિશા” દહેજ પહોંચ્યું
ભરૂચ જિલ્લાના દહેજ એલએનજી ટર્મિનલ ખાતે આજે સવારે એલએનજી કેરિયર ‘દિશા’ સફળતાપૂર્વક લંગારાયું છે. આશરે 62,370 મેટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસ -LNG લઈને આવેલા આ જહાજે 15 જૂનના રોજ Strait of Hormuz સુરક્ષિત રીતે પાર કરી હતી.

ભરૂચ જિલ્લાના દહેજ એલએનજી ટર્મિનલ ખાતે આજે સવારે એલએનજી કેરિયર ‘દિશા’ સફળતાપૂર્વક લંગારાયું છે. આશરે 62,370 મેટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસ -LNG લઈને આવેલા આ જહાજે 15 જૂનના રોજ Strait of Hormuz સુરક્ષિત રીતે પાર કરી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી તાજેતરની શાંતિ સમજૂતી બાદ આ માર્ગનો ઉપયોગ કરીને ભારત પહોંચનાર આ પ્રથમ ભારતીય એલએનજી ટેન્કર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
First LNG Carrier Reaches Dahej After Ceasefire, Crosses Hormuz Safely | Gujarat | TV9Gujarati#Dahej #LNG #Bharuch #EnergyNews #HormuzStrait #IndiaEnergy #BreakingNews #Gujarat #TV9Gujarati pic.twitter.com/owBaHR03iO
— Tv9 Gujarati (@tv9gujarati) June 19, 2026
આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે સકારાત્મક સંકેત
પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલતા તણાવ અને સંઘર્ષના કારણે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર અનિશ્ચિતતા સર્જાઈ હતી. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા રાજદ્વારી પ્રયાસો બાદ પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ‘દિશા’નું સફળ આગમન વૈશ્વિક ઊર્જા વેપાર અને દરિયાઈ પરિવહન માટે સકારાત્મક વિકાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ત્રણ મહિનાથી વધુ સમય સુધી જહાજ અટવાયેલું રહ્યું હતું
પેટ્રોનેટ એલએનજી માટે કાર્યરત અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત માલ્ટા ધ્વજ ધરાવતું આ જહાજ માર્ચ મહિનાની શરૂઆતમાં કતારના રાસ લફાન બંદરેથી એલએનજીનો જથ્થો લઈને નીકળ્યું હતું. પરંતુ પશ્ચિમ એશિયામાં ઊભી થયેલી અસ્થિર પરિસ્થિતિને કારણે જહાજ ત્રણ મહિનાથી વધુ સમય સુધી પર્સિયન ગલ્ફ વિસ્તારમાં જ રોકાઈ રહ્યું હતું.
ઇરાનના લારક ટાપુ નજીકના માર્ગથી સુરક્ષિત પસાર થયું
ઉપલબ્ધ શિપ ટ્રેકિંગ માહિતી મુજબ, LNGC ‘દિશા’એ ઈરાનના લારક ટાપુ નજીક આવેલા દરિયાઈ રૂટનો ઉપયોગ કરીને હોર્મુઝની સામુદ્રધુની પાર કરી હતી. ત્યારબાદ જહાજે દહેજ ટર્મિનલ તરફ સફર પૂર્ણ કરીને કાર્ગો પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરી છે.
ભારતની ઊર્જા સુરક્ષા માટે રાહતના સમાચાર
ભારત પોતાની ઊર્જા જરૂરિયાતનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયાના દેશોમાંથી આયાત કરે છે. દેશના કુલ ક્રૂડ ઓઈલનો લગભગ 40 ટકા, એલએનજીનો 60 ટકા અને એલપીજીનો 90 ટકા પુરવઠો હોર્મુઝ માર્ગ દ્વારા થાય છે. તેથી આ રૂટ પર ફરીથી સામાન્ય અવરજવર શરૂ થવી ભારત માટે રાહતરૂપ માનવામાં આવી રહી છે.
ભારતીય નાવિકોની સુરક્ષા પર સરકારનું ધ્યાન
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ અને વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને ભારતીય નાવિકોની સુરક્ષા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ દેશના તમામ મુખ્ય બંદરો પર હાલ કામગીરી સામાન્ય રીતે ચાલુ હોવાનું પણ જણાવાયું છે.
