
ભરૂચ : ઘર કંકાસ અને પારિવારિક વિવાદ કઈ હદ સુધી ઘાતકી સ્વરૂપ ધારણ કરી શકે છે, તેનો એક અત્યંત ચોંકાવનારો અને હૃદયકંપાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. એક એવો કિસ્સો… જ્યાં ઘરના મોભી જ પોતાના પરિવાર માટે કાળ બન્યા છે. પોલીસ ફરિયાદ ઘર કંકાસની ગંભીર બાબતમાં ઘરના મોભી દ્વારા પોતાની જ પુત્રવધૂ અને તેમની માતા પર અત્યંત ઘાતકી હુમલો કરીને બંનેની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલાની ક્રૂરતા એટલી હદે સીમાઓ વટાવી ગઈ હતી કે બંને મહિલાઓના મોત નીપજ્યા બાદ પણ આરોપી તેમના શરીર પર સતત ઘા કરતો રહ્યો હતો.
Man Kills Two Women in Domestic Dispute, Attempts Suicide#Bharuch #CrimeNews #DomesticViolence #DoubleMurder #GujaratPolice #TV9Gujarati pic.twitter.com/YyjPmNb7aK
— Tv9 Gujarati (@tv9gujarati) June 11, 2026
કોટ પારસીવાડ અગીયારી પાસે રહેતા ફરિયાદી અબ્દુલ હુશેન સૈફુદ્દિન નમકવાલાની પોલીસ ફરિયાદ મુજબ તેમના જમાઈ યુસુફ અને વેવાઈ જૈનુલ અબ્બાસ જનોરવાલા તેમની દીકરી અલીફીયાના ચારિત્ર્ય વિશે ખોટા આરોપ મૂકી તેમજ છુટાછેડા આપવા માટે અવારનવાર દબાણ કરતા હતા. ફરિયાદી અને તેમનો પરિવાર છુટાછેડા આપવા તૈયાર ન હોવાની રીસ રાખીને આ ભયાનક હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે.
આ હિંસક ઘટનામાં આરોપી સસરા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ ક્રૂરતાની તમામ સીમાઓ વટાવી દીધી હતી. આરોપીએ પ્રથમ કોઠીરોડ ખાતે રહેતી પોતાની પુત્રવધૂ અલીફીયા (ઉં.વ. 35) ની ઘરમાં ધારદાર ચપ્પુ વડે ગળાના તેમજ શરીરના અન્ય ભાગે આશરે 44 જેટલા ઘા ઝીંકી તેનું કરપીણ મોત નીપજાવ્યું હતું. ત્યારબાદ આરોપી ત્યાંથી નીકળીને વેવાઈના ઘરે પહોંચ્યા હતા. ઘરનો દરવાજો ખટખટાવતા તેમની વેવાણ એટલે કે મૃતક અલીફીયાની માતા શહેનાજબેન (ઉં.વ. 60) દરવાજો ખોલતા તેમને પણ ચપ્પુ વડે ગળાના અને શરીરના ભાગે આશરે 23 જેટલા ઘા મારીને નિર્મમ હત્યા કરી દીધી હતી. આ હુમલામાં આરોપીની ભયાનક વિકૃતિ અને ઘાતકીપણું એ બાબતથી સ્પષ્ટ થાય છે કે બંને મહિલાઓના મૃત્યુ થઈ ગયા બાદ પણ આરોપી સતત તેમના પર ઘા કરતો રહ્યો હતો.
લોહીલુહાણ ખેલ ખેલતા પહેલા આરોપીએ સુસાઇડ નોટ લખી હતી. પોલીસ તપાસ અને ઘટનાક્રમની વિગતો મુજબ બપોરના આશરે એક વાગ્યાની આસપાસ જમાઈ ડો યુસુફ ઝનોરવાળા તેના સસરા અબ્દુલ હુશેન સૈફુદ્દિન નમકવાલાની દુકાને પહોંચ્યા હતા અને કહ્યું હતું કે “અલીફીયાને મારા ડેડીએ કંઈક કરી દીધું છે”. નમકવાળા જયારે જમાઈના ઘરે પહોંચ્યા ત્યારે પુત્રવધૂ અલીફીયા રસોડામાં લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવી હતી. ફરિયાદી તેની પત્નીને દીકરીની હત્યાની જાણ કરવા ફોન કરતા સંપર્ક થયો ન હતો પાડોશીઓને મોકલતા ઘરનો દરવાજો બંધ હતો જે તોડવામાં આવતા ઘરમાં અલીફીયાની માતા શહેનાજબેનની લાશ લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી અને નજીકમાં વેવાઈ જૌનુલ ઝનોરવાળા ઈજાગ્રસ્ત હાલતમાં હતા.
આ આખા હત્યાકાંડને અંજામ આપતા પહેલા આરોપી જૈનુલ અબ્બાસે એક સુસાઇડ નોટ લખી હતી, જે પોલીસને મળી આવી છે. બંનેની હત્યા કર્યા બાદ આરોપીએ પોતે પણ ચટાઈ પર પડીને ચપ્પુ કે અન્ય હથિયાર વડે પોતાના ગળા, હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચાડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાસ્થળેથી ચાર છરી અને કુહાડી જપ્ત, પોલીસની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.