
ભરૂચ : દહેજમાં પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું એક મોટું કૌભાંડ એલ.સી.બી. ભરૂચે ઝડપી પાડ્યું છે. સાયખા GIDCમાં આવેલી માલ્વીસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અત્યંત જોખમી અને ઝેરી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.
આરોપીઓ ખાડીમાં ઝેરી કેમિકલ ઠાલવી પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડવાની તૈયારીમાં હતા પરંતુ એલ.સી.બી.ની સતર્કતાના કારણે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે.
મળતી માહિતી મુજબ, 11 એપ્રિલ 2026ના રોજ એલ.સી.બી. ભરૂચની ટીમ દહેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જોલવા ગામ નજીક ખાડીમાં એક ટેન્કર મારફતે જોખમી કેમિકલ વેસ્ટ ખાલી કરવામાંની પેરવીમાં છે. બાતમીના આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને RJ-09-GC-7832 નંબરનું ટેન્કર ઝડપી પાડ્યું હતું.
પોલીસે ટેન્કર ચાલક સંદીપસિંહ ઉર્ફે શેરૂની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં ડ્રાઈવરે પોલીસ સમક્ષ ‘Kaizen Pharmaceutical’ કંપનીના Invoice અને E-Way Bill રજૂ કર્યા હતા. પરંતુ દસ્તાવેજોની તપાસ કરતા સમગ્ર મામલો શંકાસ્પદ લાગ્યો હતો. ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે રજૂ કરાયેલા તમામ બિલો અને દસ્તાવેજો બોગસ હતા. આરોપીઓએ GST નંબર અને જાણીતી કંપનીઓના નામનો દુરુપયોગ કરીને કાયદેસર રીતે કેમિકલ ટ્રાન્સપોર્ટ થતું હોય તેવો દેખાવ ઊભો કર્યો હતો જેથી કોઈને શંકા ન જાય. જોકે, પોલીસે સમગ્ર નેટવર્કનો ભાંડો ફોડી નાખ્યો હતો.
સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે FSL અને GPCBના રિપોર્ટ મુજબ ઝડપાયેલું કેમિકલ અત્યંત જોખમી અને એસિડિક હોવાનું સામે આવ્યું છે. કેમિકલની pH વેલ્યુ 2થી પણ ઓછી નોંધાઈ હતી, જે પર્યાવરણ, પાણીના સ્ત્રોતો, જળચર પ્રાણીઓ અને માનવ આરોગ્ય માટે ગંભીર ખતરો માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે આવું કેમિકલ જો ખુલ્લી ખાડી કે જમીનમાં ઠાલવવામાં આવે તો લાંબા ગાળે પાણી અને જમીન બંને પ્રદૂષિત થઈ શકે છે.
તપાસ દરમિયાન કંપનીના માલિક અંબરીસ ગીરીશભાઈ માલવી, રાજકોટના હરીકૃષ્ણ શ્યામજીભાઈ ચૌહાણ સહિત યોગેન્દ્રસિંહ અને રાહુલ નામના શખ્સોની સંડોવણી સામે આવી છે. તમામ આરોપીઓ સામે દહેજ પોલીસે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની કલમ 286, 287, 336, 338 અને 61(2) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે ₹10 લાખનું ટેન્કર, ઝેરી કેમિકલ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ ₹10,45,533નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આખરે આ ગેરકાયદેસર કેમિકલ નિકાલનો વેપલો કેટલા સમયથી ચાલી રહ્યો હતો? શું માત્ર એક જ કંપની સંડોવાયેલી છે કે પાછળ વધુ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે? એલ.સી.બી. અને દહેજ પોલીસ હવે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Breaking News : ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો, બે સપ્તાહમાં રિપોર્ટ માંગ્યો
Published On - 12:34 pm, Thu, 7 May 26