ભરૂચ(Bharuch)માં બિલ્ડર પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયું અને તસ્કરોએ ઘરમાં તિજોરીમાં મુકેલા રૂપિયા 1 કરોડ સેરવી જતા ખળભળાટ મચ્યો છે. દેવ દર્શનોથી પરત ફરેલા પરિવારને ઘરે પાર્ટ ફર્યા બાદ ઘરમાં સમાન વેરવિખેર નજરે પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન આટલી મોટી રકમની ચોરી સામે આવતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મામલે વિસ્તારના સિસિટીવો ફૂટેજ સહીત ટેક્નિકલ એક્સપર્ટ્સની મદદ લઈ તસ્કરોની ભાળ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે. બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી – ડિવિઝન પોલીસ સ્ટેશને ૧ કરોડ ૩ લાખ રૂપિયાની ચોરીના મામલાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ભરૂચના જાણીતા બોલ્ડર ધર્મેશભાઈ દિનેશચંદ્ર તાપીયાવાલા પોતાના પરિવાર સાથે ગત તા.12 જૂનના રોજ ઘર બંધ કરીને કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શને મોઢેરા ખાતે ગયા હતા. પરિવાર અહીંથી અંબાજી બનાસકાંઠા ખાતે માતાજીના દર્શનાર્થે ગયેલ હતો અને તે 14 જૂને વહેલી સવારે ઘરે પરત ફર્યું હતું. પરિવારના સભ્યો પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો મળ્યો હતો. ઘરમાં પ્રવેશવામાં આવતા સમાન વેરવિખેર જણાતાં તસ્કરો હાથફેરો કરી ગયા હોવાનો સ્પષ્ટ અણસાર મળ્યો હતો. ઘરમાં પ્રવેશ કરવા માટે તસ્કરોએ પ્રથમ જાળીવાળા દરવાજાનો નકુચો કોઇ સાધન વડે કાઢી નાખી મુખ્ય દરવાજાનો લોક તથા ઈન્ટર લોક તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. ફરીયાદીના ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બેડરુમના લાકડાનો કબાટ ખોલી કબાટમાંથી કુલ રોકડા રુપિયા 10396500 ની ચોરી કરી કરી ફરાર થઇ ગયા હતા.
બિલ્ડરે વેપારના કામે ઘરમાં પાંચસોના દરની 100 નોટના 192 બંડલ તથા પાંચસોના દરની 93 નોટ છૂટી જેની કુલ કિંમ તે રુપિયા 9646500 , આ ઉપરાંત બે હજારના દરની 100 નોટના ત્રણ બંડલ જેની કિમંત રુપિયા 6 લાખ અને 200 રુપિયાના દરની 100 નોટના 5 બંડલ જેની કિમંત રુપિયા ૧ લાખ સાથે 100 રુપિયાની અને 200 રુપિયા ની ચલણી નોટ મળી રુપિયા 50 હજાર મળી કુલ રોકડા રુપિયા 1039650 ઘરમાં રાખ્યા હતા જે તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા છે.
બનાવ સંદર્ભે પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવાર બહારગામ ગયું હોવાથી મકાન બંધ રહ્યું હોવાની તકનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ભરૂચ સી – ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published On - 7:55 am, Wed, 15 June 22