ગુજરાતમાં હવે ચૂંટણી જેમ – જેમ નજીક આવી રહી છે તેમ – તેમ વધતા આંદોલનો અને વિરોધ વંટોળ સરકારની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.ભરૂચ(Bharuch)માં 3 યોજનાને લઈ શનિવારે ખેડૂતોએ શક્તિ પ્રદર્શન કર્યા બાદ રેલવે સ્ટેશનથી કલેકટર કચેરી સુધી સરકારી કર્મચારીઓએ વિરાટ રેલી કાઢી હતી. ભરૂચ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચાના નેજા હેઠળ સરકારી કર્મચારીઓએ જૂની પેંશન યોજના લાગુ કરવા, કેન્દ્રની જેમ વય મર્યાદા 60 વર્ષ કરવા, સાતમાં પગાર પંચ ભથ્થું, 45 વર્ષ બાદ ખાતાકીય પરીક્ષા નહિ, ફિક્સ પગાર નાબુદી સહિતની 15 માંગણીઓ સાથે મુખ્ય માર્ગો પર બેનરો, સુત્રોચ્ચારો સાથે રેલી સ્વરૂપે પ્રદર્શન યોજયું હતું.
રાજ્ય સરકારના વિવિધ કર્મચારીઓની વિશાળ રેલી કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધતુ આવેદન કલેકટરને પાઠવ્યું હતું. જો માંગણીઓ નહિ સંતોષાય તો ફરીથી 11 મીએ મહારેલી , 17 મી એ માસ સીએલ, 22 મી એ પેન ડાઉન અને આખરે 30 સપ્ટેમ્બરથી ચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનું એલાન કરી દેવામાં આવ્યું છે.
સરકાર સામે કર્મચારીઓ, ખેડૂતો સહિતના આંદોલન, વિરોધ વંટોળ અને પ્રદર્શનો તેજ બન્યું છે. હાલ ખેડૂતો, સરકારી કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ સાથે વીજ કંપનીના વર્ગ 4 ના કર્મચારીઓ પણ વર્ગ 3 માં સમાવવાની માંગ અને અન્ય લાભોને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે. આવનારા દિવસોમાં વધુ વિરોધ વંટોળ, રેલીઓ, ધરણાં પ્રદર્શન યોજાઈ શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના મહત્વકાંક્ષી પ્રોજેક્ટોમાં જમીન ગુમાવનાર ખેડૂતો આજે વળતરની રકમ અંગે નારાજગી સાથે મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ એકત્રિત થયા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ સાથે ગ્રામજનો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોના પરોવારજનોમાં મોટી સંખ્યામાં બાળકો અને વૃદ્ધ મહિલાઓ પણ નજરે પાડી હતી. સ્થાનિકોની માંગ છે કે એક્સ પ્રેસ વે , ભાડભૂત બેરેજ અને બુલેટટ્રેન યોજનામાં સંપાદન થતી જમીનોનું જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ ની કલમ 26 ( 2 ) પ્રમાણે તેમને વળતર આપવામાં આવે તે જરૂરી છે.
ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને સંબોધી આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગત તારીખ 21 જુલાઇ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથેની મીટીંગમાં D.L.P.C. પ્રમાણે બજારકિંમત નકકી કરવાનો નિર્ણય કરાયો પણ તેમાં કોઇપણ પ્રકારની પ્રગતિ સરકારી પ્રશાસન દ્વારા કરવામાં આવી નથી જેથી ભરૂચ જિલ્લાના ત્રણેય યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોમાં ખૂબ નિરાશા છવાઇ છે . ભરૂચ જિલ્લાના અસરગ્રસ્તોને ૭ દિવસમાં પ્રતિ ચોરસ મીટર રૂ. 900 થી રૂ. 1200 પ્રમાણે વળતર આપવામાં નહી આવે તો તા .૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીની મહત્વકાંક્ષી યોજનાના વિરોધ કરવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે મહા રેલીનું યોજવામાં આવશે છે.
Published On - 3:11 pm, Sat, 3 September 22