ગુજરાતના 61 માં સ્થાપના દિનની પૂર્વ મધરાતે જ ભરૂચની કોવિડ હોસ્પિટલ પટેલ વેલફેરમાં લાગેલી આગે લોકોને હતપ્રત કરી દીધા હતા. વેલફેર કોવિડ સેન્ટરના અગ્નિકાંડમાં 16 દર્દી સાથે 19 વર્ષની 2 ટ્રેઈની નર્સની જિંદગી જીવતી જ હોમાઈ ગઈ હતી. અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ બાદ ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ પણ રાજ્ય સરકારે પૂર્વ જસ્ટિસ ડી.એ. મહેતા પંચને સોંપાઈ છે.
ભરૂચ ખાતેની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તલસ્પર્શી તપાસ માટે 6 મે એ નિવૃત જસ્ટિસ ડી.એ .મહેતાના તપાસ પંચની રચના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી. આ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ નિવૃત જસ્ટિસ ડી. એ. મહેતાના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવામાં આવ્યું હતું.
આજે મંગળવારે ભરૂચ પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલના આગ હોનારતની તપાસ માટે જસ્ટિસ ડી.એ.મહેતા સવારે 11 કલાકે આવી પોહચ્યા હતા. તેમીની મુલાકાત અને આગમનને લઈ આ હોનારતની તપાસ કરતી તમામ એજન્સીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડમાં તપાસ પંચ પૂર્વ જસ્ટિસ ડી.એ. મહેતા એ દુર્ઘટના સ્થળ આગમાં બળીને રાખ થયેલા નવી બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. જસ્ટિસ મહેતા પંચની 1.15 કલાક સુધીની મુલાકાતમાં જરૂરી નિરીક્ષણ, તપાસ, અન્ય તપાસ એજન્સીઓ અને અધિકારીઓના અહેવાલો તેમજ રિપોર્ટ સહિતની વિગતો મેળવાઈ હતી.
જસ્ટિસ ડી.એ. મહેતા પાંચ આ અગ્નિકાંડની ઘટનામાં તલસ્પર્શી નિરીક્ષણ અને તપાસ કર્યા બાદ ઘટના પાછળના કારણો કયા હતા અને આવા બનાવો કેવી રીતે અટકાવી શકાય એ સંદર્ભે રાજ્ય સરકારને 3 મહીનમાં અહેવાલ સુપરત કરશે. અમદાવાદની કોવિડ શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગજનીની તપાસ પણ નિવૃત જસ્ટિસ ડી.એ. મહેતા પંચને આપવામાં આવી હતી.