બનાસકાંઠાનું ગૌરવ ડો.સંજય જોષી, રાષ્ટ્રીય કક્ષાની તાલીમી સંસ્થામાં પ્રોફેસર તરીકે નિમણૂંક મેળવનાર રાજ્યના પ્રથમ અધિકારી
ડો.સંજય જોષીએ કહ્યું મસુરી ખાતે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં પ્રોફેસર તરીકે મારી નિયુક્તિ મારા માટે ગૌરવની વાત છે.
BANASKANTHA : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા અને ગુજરાત સરકારના અધિક કલેકટર ડો.સંજય જોષી (Dr. Sanjay Joshi) ની ભારત સરકારની લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (Lal Bahadur Shastri National Academy of Administration) મસુરી ઉત્તરાખંડ ખાતે ભારત સરકારના વિવિધ સેવાઓના અધિકારીઓની તાલીમ માટે પ્રોફેસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
બનાસકાંઠાના વડગામ તાલુકાના સીસરાણા ગામના વતની ડો.સંજય જોષી એન્જિનિયરિંગની ડિગ્રી ઉપરાંત સોશ્યોલોજી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા કાયદા ક્ષેત્રમાં ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે. લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ઉપર PhD કર્યુ છે. કચ્છના ભૂકંપ સમયે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના પ્રોગ્રામ મેનેજર તરીકે જવાબદારી નિભાવનાર ડો. સંજય જોષીએ GSDMA તથા GIDM માં પણ ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી છે.
અંતરિયાળ વિસ્તારની સરકારી શાળાઓમાં શિક્ષણ મેળવી અધિકારી બન્યા બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ દાંતા તાલુકામાં નવાવાસ પ્રાથમિક શાળા તેમજ દાંતા કુમારશાળામાં શિક્ષણ મેળવનાર અને હાઈસ્કુલના શિક્ષક જયંતીભાઈ જોશીના પુત્ર ડો.સંજય જોષી ગુજરાત વહીવટી સેવાના પ્રથમ અધિકારી છે. જેમને આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની તાલીમી સંસ્થામાં કામ કરવાની તક પ્રાપ્ત થઈ હોય. વતન માટે કાયમ સંવેદનશીલ ડો.સંજય જોષીએ 2015 અને 2017 માં પૂર સમયે પણ પ્રભાવી કામગીરી કરી હતી.
દેશના સનદી અધિકારીઓને તાલીમ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું : ડો.સંજય જોષી ડો.સંજય જોષીએ કહ્યું મસુરી ખાતે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં પ્રોફેસર તરીકે મારી નિયુક્તિ મારા માટે ગૌરવની વાત છે. દેશના ઉચ્ચ સનદી અધિકારીઓ જે સંસ્થામાંથી ટ્રેનિંગ મેળવી લોકસેવામાં જોડાયા છે, એ સંસ્થામાં પ્રોફેસર તરીકે મારી નિયુક્તિ મારા માટે જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. દેશના સનદી અધિકારીઓને ગામડાંના છેવાડાના લોકોની પરિસ્થિતિ સમજે અને સારી તાલીમ મેળવી દેશના છેવાડાના માનવીને પગભર બનાવવા પ્રયતનશીલ બને તે માટે મારા પ્રયત્ન રહેશે.
મસૂરી ખાતે પ્રોફેસર તરીકે નિયુક્તિ થતાં પરિવાર અને મિત્રોમાં આનંદ અધિક કલેકટર ડો.સંજય જોષીની મસુરી ખાતે આવેલ IAS ટ્રેનિંગ એકેડેમીમાં પ્રોફેસર તરીકે નિમણૂંકથી બનાસકાંઠા જિલ્લા સહિત તેમના મિત્ર વર્તુળમાં આનંદની લાગણી વ્યાપી છે. ડીસાના ડો.અજય જોશી તેમના મોટાભાઈ છે, તેઓ પણ તબીબી વ્યવસાય ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે આદર્શ હાઈસ્કૂલના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં છે. ડો.અજય જોષીએ જણાવ્યું હતું કે તેમના ભાઈ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતા. અધિકારી તરીકે પણ તેને યશસ્વી સેવાઓ આપી છે. આજે તેમની ભારતના નવા નિયુક્ત થતાં સનદી અધિકારીઓને ટ્રેનિંગ આપવા માટે પ્રોફેસર તરીકે નિયુક્તિ થતાં સમગ્ર પરિવાર ગર્વનો અનુભવ કરે છે.