
બનાસકાંઠા, 8 સપ્ટેમ્બર: બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓ, નાળાઓ છલકાઈ ગયા છે અને શહેરો તેમજ ગામડાઓમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિના પગલે શાળા, કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
સુઈગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં અહીં 16 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે લીંબોળી, ભરડવા, જલોય સહિતના ગામોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થિતિ ગંભીર બનતાં તંત્રએ NDRF અને SDRFની મદદ માગી છે. NDRFની ટીમ લીંબોળી ગામે તાત્કાલિક પહોંચીને લોકોનું સ્થળાંતર કરાવશે.
ડીસાના ભીલડી વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પંચવટી સોસાયટીના મુખ્ય માર્ગ પર 3 ફૂટ સુધી પાણી ભરાતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દરેક વર્ષ પાણી ભરાવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
થરાદના ચારડા ગામ નજીક વાવ-સુઈગામ-રાધનપુરને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. હાઇવે પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાહનો પાણીમાં ખોટકાયા છે, જ્યારે ચારડા ગામમાં ઘરોની અંદર પણ પાણી ફરી વળ્યા છે.
થરાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આથી પ્રાંત કચેરી, મામલતદાર કચેરી સહિતના વિસ્તારોમાં 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ટૂ-વ્હીલર ચલાવવી તો દૂર રહી, લોકો ઘરમાં કેદ બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેનારોએ વધુ તકલીફો ભોગવી રહ્યા છે.