વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે (Gujarat Visit) આવવાના છે. તેઓ બે દિવસમાં અમદાવાદ (Ahmedabad) , ભાવનગર (Bhavnagar) , સુરત અને બનાસકાંઠામાં (Banaskantha) વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 30 સપ્ટેમ્બરના વડાપ્રધાન બનાસકાંઠામાં હાજર રહેશે અને અહીં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના રુ. 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના(વિકસતી જાતિ કલ્યાણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ રુ. 1967 કરોડના ખર્ચે બનેલા 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53172 આવાસોનું લોકાર્પણ કરશે. ઉપરાંત રુ. 124 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત અને રુ. 85 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું લોકાર્પણ કરશે.
કેન્દ્ર સરકારે નવી તારંગા હિલ- આબુ રેલવે લાઇનને મંજૂરી આપી છે. તેનાથી રોજગાર નિર્માણની સાથે, નાગરિકોને પરિવહન માટે નવી સુવિધા મળશે અને વિકાસને વેગ મળશે. રુ. 2798 કરોડના ખર્ચે નિર્માણ પામનારી આ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાન ભૂમિપૂજન કરશે. તે સિવાય ડીસા એરફોર્સ સ્ટેશનમાં રુ.1000 કરોડના ખર્ચે રનવે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન કરશે. ત્યારબાદ રુ. 1881 કરોડના ખર્ચે નિર્મિત 62.15 કિમીની પાલનપુર-મહેસાણા રેલવે લાઇનનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન દ્વારા અંબાજીમાં જાહેરસભામાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ નવરાત્રીનો પર્વ હોવાથી ((Navratri 2022) સાંજે 7થી 7.30 વાગ્યા સુધી અંબાજી મંદિરમાં પૂજા કરવા જશે. ત્યારબાદ તેઓ ગબ્બરમાં મહાઆરતીમાં ભાગ લેવા જશે. અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ભાવિકોની સુવિધા માટે વડાપ્રધાન 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે.
ગુજરાતમાં (Gujarat) નવરાત્રી દરમ્યાન પીએમ મોદીનીમુલાકાતને લઈને રાજયભરમાં તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અંબાજી (Ambaji) મુલાકાતને લઇને વહીવટીતંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને ગરિમાપૂર્ણ બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના કરી છે. પીએમ મોદીની મુલાકાતને લઇને કલેકટરએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ અંબાજી આવવાના છે. જેના પગલે વિવિધ વિભાગો અને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન અપાયું હતું. જેમાં કલેકટરએ કાર્યક્રમ સ્થળે સુશોભન, વીજ પુરવઠો, મહાનુભાવો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા, સાફ-સફાઈની કામગીરી, આરોગ્ય વિષયક વ્યવસ્થાઓ, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી.
(વીથ ઇનપુટ-કિંજલ મિશ્રા, ગાંધીનગર)
Published On - 12:43 pm, Tue, 27 September 22