લો બોલો..ગુજરાતની પોસ્ટઓફિસમાં 1000 કરોડ રૂપિયાના કોઈ દાવેદાર જ નહીં!
જો કે, આ સાઈલન્ટ ખાતાઓ કેવાયસી એપડેટ થયા બાદ તુરંત પુર્વવત શરૂ થઈ જાય છે. સમયાંતરે પોસ્ટઓફીસ (post office) દ્વારા આ ખાતાઓને લઈને ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. સાઈલન્ટ ખાતું ધરાવતા ખાતેદારોને નોટીસ મોકલીને જાણ કરવામાં આવે છે.
ડીજીટલાઈઝેશનના યુગમાં હવે પોસ્ટ ઓફિસ પણ અપગ્રેડ થઈ રહી છે. બેંકોની જેમ જ પોસ્ટ ઓફિસમાં (Post Office) બચત ખાતું ખોલવામાં આવે છે. તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ પણ પોસ્ટઓફિસ દ્વારા મળતો હોય છે. હાલ અસંખ્ય લોકો છે જે પોસ્ટઓફિસમાં ખાતુ ધરાવે છે. જે રીતે બેંકોમાં બચત ખાતા નિશ્ચિત સમય મર્યાદામાં કોઈ વ્યવહાર કરવામાં ન આવે તો ખાતુ નિષ્ક્રિય બને છે. તે જ રીતે પોસ્ટ ઓફિસમાં ખાતેદારો દ્વારા સતત ત્રણ વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેકશન કરવામાં ન આવે તો એને સાઈલન્ટ એકાઉન્ટ જાહેર કરવામાં આવે છે. મીડિયા રીપોટર્સ અનુસાર આ રીતે ગુજરાતની 26 પોસ્ટ ઓફિસમાં એપ્રિલ -2022ની સ્થિતિએ 67,98,605 ખાતાં સાઇલન્ટ મોડમાં આવી ગયા હોવાનું જાણવા મળેલ છે. જેમાં અનુમાન મુજબ 1000 કરોડ રૂપિયાથી વધુ રકમનું બેલેન્સ છે.
જો કે, આ સાઈલન્ટ ખાતાઓ કેવાયસી એપડેટ થયા બાદ તુરંત પુર્વવત શરૂ થઈ જાય છે. સમયાંતરે પોસ્ટઓફીસ દ્વારા આ ખાતાઓને લઈને ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. સાઈલન્ટ ખાતું ધરાવતા ખાતેદારોને નોટીસ મોકલીને જાણ કરવામાં આવે છે. મીડિયા રીપોર્ટસ અનુસાર સામાન્ય સંજોગોમાં દરેક ખાતેદાર ખાતામાં ટ્રાન્ઝેકશન કરતા હોય છે, પરંતુ કોઈ વિદેશ જતા રહ્યા હોય અથવા તો અવસાન પામ્યા હોય તો આ પ્રશ્ન સર્જાવાની શક્યતા રહેલી છે. પોસ્ટ વિભાગના સુત્રો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ કોઈ ખાતેદારના મૃત્યુના કિસ્સામાં જે – તે વારસદારને રકમ ચુકવવામાં આવે છે. પરંતુ તેના માટે વારસદાર વ્યક્તિએ પોસ્ટ ઓફિસમાં જરૂરી દસ્તાવેજો સાથે આવવાનું રહેતું હોય છે. ત્યારબાદ કાનૂની પ્રક્રિયા પૂરી કરીને વારસદારોને રકમ ચૂકવવામાં આવતી હોય છે.
મીડિયા રીપોર્ટસ અનુસાર એપ્રિલ-2022માં ગુજરાત ઝોનમાં 2,94,055 એકાઉન્ટ સાઈલન્ટ થયાં હતાં, જેમાં નોર્થ ગુજરાતમાં 1,20,869, સૌરાષ્ટ્ર- કચ્છ ડિવિઝનમાં 57,799 અને સાઉથ ગુજરાતમાં 1,15,387 એકાઉન્ટ સાઇલન્ટ થયાં હતાં. આમ, ડિવિઝનની વાત કરીએ તો એપ્રિલ-2022માં નોર્થ ગુજરાતમાં સૌથી વધુ એકાઉન્ટ સાઇલન્ટ થયાં હતાં. એની સામે એપ્રિલ મહિના દરમિયાન સાઇલન્ટ એકાઉન્ટમાંથી 6,478 એકાઉન્ટ પુન ચાલુ થયાં હતાં.
અવારનવાર જાગૃતિના કાર્યક્રમો ચલાવવામાં આવ્યા
ચીફ પોસ્ટ માસ્ટર જનરલ-ગુજરાત સર્કલના ડાયરેકટર એસ.એન. દવે (મેનેજર)એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત સર્કલની 26 પોસ્ટ ઓફિસમાં અનેક ગ્રાહકોનાં સેવિંગ્સ એકાઉન્ટ છે, જેમાં સતત ત્રણ વર્ષ સુધી ટ્રાન્ઝેકશન નહીં કરનારા ખાતાં સાઇલન્ટ એકાઉન્ટ તરીકે જાહેર કરવામાં આવે છે. 30મી એપ્રિલ 2022 સુધીમાં ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં અંદાજે 68 લાખ ખાતામાં 1 હજાર કરોડથી વધુ રકમ જમા હશે. ખાતેદારો કેવાયસી રજૂ કરતાં જ તેમનાં ખાતાં પુનઃ ચાલુ કરી દેવામાં આવે છે. સાઈલન્ટ એકાઉન્ટહોલ્ડરોને નોટિસ મારફત તેમ જ પોસ્ટમેનને ઘરે મોકલીને જાણ કરવામાં આવે છે. આ અંગે ખાતેદારોમાં અવારનવાર જાગૃતિ ફેલાવવામાં આવે છે.