શામળાજી વિષ્ણું મંદિર (Shamlaji Temple) પરિસરમાં અરવલ્લી જિલ્લા ભાજપ (BJP Aravalli) અને ડોક્ટર સેલ દ્વારા નિઃશુલ્ક મેગા હેલ્થ ચેક અપ કેમ્પ અને સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. એક દિવસીય મેગા કેમ્પમાં 35 જેટલા નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહીને વિસ્તારના દર્દીઓને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કર્યુ હતુ તેમજ સારવાર આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે મેગા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમની સાથે પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા કન્વીનર અને શામળાજી વિષ્ણું મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ જોડાયા હતા.
મેગા કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાંતો દ્વારા મહિલાઓના દર્દનુ નિદાન અને તેની સારવાર કરવામાં આવ્યુ હતુ. સ્પાઈન સર્જન, ચામડીના રોગો અને યુરો સર્જિકલ, કાર્ડિયોલોજી, આંખ, કાન, નાક અને ગળા તેમજ દાંતના નિષ્ણાંત ડોક્ટરો ઉપસ્થિત રહીને 5 હજાર કરતા વધુ દર્દીઓના સેવા આાપી હતી. સાડા ચારસો જેટલા દર્દીઓને આંખની સમસ્યા અને તેમને નંબરના ચશ્માની જરુરીયાત જણાતા તેઓને વિના મૂલ્યે ચશ્મા પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જરુરી દવાઓ પણ નિદાન બાદ દર્દીઓને આપવામાં આવી હતી. બાળકોના તબીબો દ્વારા પણ સેવાઓ પૂરી પાડવામા આવી હતી.
સિદ્ધાર્થ પટેલે જણાવ્યુ હતુ કે, રત્નાકરજીનુ સ્વાગત શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યુ હતુ. તેઓએ અંતરીયાળ વિસ્તારના દર્દીઓને મેડિકલ સારવાર યોગ્ય રીતે મળી રહે અને આ પ્રકારે સેવાકીય કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. અંતરિયાળ વિસ્તારના બાળકો, યુવાનો અને વૃદ્ધોને આંખોના નંબર હોવાનુ નિદાન થયા બાદ તેમને ચશ્મા વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. તેવા દર્દીઓના ચહેરા પર આંખોની દૃષ્ટી વધુ સ્પષ્ટ જોઈ શકતી હોવાનો આનંદ છવાયેલો જોવાથી જ આમ સેવા કાર્ય કરવાનુ પ્રોત્સાહન ઉપસ્થિત સૌ આયોજકોને મળતુ હતુ.
ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા ડોક્ટર સેલ દ્વારા આજે શામળાજી મંદિર ખાતે આયોજિત નિ:શુલ્ક મેગા હેલ્થ ચેકઅપ અને સારવાર કેમ્પની પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી દ્વારા ઉપસ્થિત રહી શુભ શરૂઆત કરાવામાં આવી. pic.twitter.com/cHCsAU3hpA
— Siddharth Patel (@isiddharthpatel) September 25, 2022
શામળાજી વિસ્તાર અને આસપાસના અંતરીયાળ ગ્રામિણ વિસ્તારના લોકોએ મેગા કેમ્પનો મોટા પ્રમાણમાં લાભ લીધો હતો. ઉપસ્થિત તબિબોએ પણ જરુરી સારવાર અને નિદાન કર્યુ હતુ, જેના થી લોકોમાં પણ દર્દીઓમાં રાહત સાથે આભારની લાગણી પ્રસરી હતી. પ્રસંગે શામળાજી વિષ્ણું મંદિર ટ્રસ્ટના ચેરમેન દિલીપભાઈ ગાંધી, વાઈસ ચેરમેન રણવીરસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ તેમજ ડોક્ટર સેલના ડો. વિપુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
Published On - 7:29 pm, Sun, 25 September 22