આણંદમાં ભારે વરસાદની સ્થિતિ, વર્ષાઋતુ દરમિયાન તમામ અધિકારીઓને સતર્ક રહેવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ
આણંદમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક મળી જેમા તમામ અધિકારીઓને અને તમામ વિભાગોની ટીમને સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો.
આણંદ (Anand) માં જિલ્લા કલેક્ટર (Collector) મનોજ દક્ષિણીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતીની બેઠક મળી હતી. આણંદના સર્કિટ હાઉસ ખાતે મળેલી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર અને ધારાસભ્ય પૂનમભાઈ પરમાર હાજર રહ્યા હતા. જેમા ભારે વરસાદ (Heavy Rain)ની સ્થિતિ અને વર્ષાઋતુ દરમિયાન તમામ અધિકારીઓને સતર્ક રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે બેઠકમાં ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ વિભાગોને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેની બેઠકમાં વિગતવાર ચર્ચા કરી હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન કલેકટરે સાંસદ, ધારાસભ્યોના પ્રશ્નોના પ્રત્યુત્તર સમય મર્યાદામાં આપવામાં આવે તે જોવા અધિકારીઓને સુચવ્યું હતું.
ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા સમીક્ષા
આ બેઠકમાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ તાજેતરમાં બોરસદ અને અન્ય તાલુકામાં થયેલ ભારે વરસાદની પરિસ્થિતિની કામગીરીની સમીક્ષા કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનનું યોગ્ય રીતે સંચાલન થઇ શકે તેમજ કોઇપણ પ્રકારની વધારે વરસાદના કારણે સર્જાય તો આપત્તિને પહોંચી વળવા જિલ્લાના તમામ અધિકારીઓને તમામ વિભાગોની ટીમને સર્તક રહેવાનો અનુરોધ કર્યો હતો.
જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાય તો પૂરની સ્થિતિને પહોંચી વળવા અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી. બોરસદ અને અન્ય તાલુકાઓમાં ભારે વરસાદને કારણે પાણીજન્ય કે અન્ય કોઇ ઋતુગત રોગચાળો ન ફેલાય તે માટેની સર્વગ્રાહી સમીક્ષા કરી આરોગ્ય તંત્રની ટીમો કાર્યરત રહે તે જોવા સુચવ્યું હતું. ઉપરાંત શહેરમાં દવાઓના છંટકાવની કામગીરી કરવા પણ સૂચન કર્યુ હતુ.
વંદે ગુજરાત વિકાસ યાત્રાની કામગીરી અંગે ચર્ચા
બેઠક દરમિયાન હાલ જિલ્લામાં ચાલી રહેલ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંગેની કામગીરીની કલેકટરે સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. કલેકટર દક્ષિણીએ જે કોઇ કામો બાકી હોય તે કામો સત્વરે પૂરાં થાય, આયોજનના જે કામો શરૂ કરવાના થતા હોય તે કામો તાત્કાલિક શરૂ થાય તે જોવાનો સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીની 13 અગ્રતાક્રમની યોજનાની વિગતવાર સમીક્ષા કરી મુખ્યમંત્રી જન સંપર્ક કાર્યક્રમ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માંગવામાં આવેલ વિગતો સુચવ્યા મુજબ નિયત સમયમર્યાદામાં મોકલવામાં આવે તે જોવા પર ખાસ ભાર મૂકયો હતો. તેમજ બેઠકમાં વર્ષાઋતુને ધ્યાનમાં રાખીને પાણીનો ત્વરિત નિકાલ થાય તે રીતે કાંસની સફાઇની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને તેના પર સતત નજર રાખતા રહેવા જણાવ્યું હતું.