આણંદમાં મોટી દુર્ઘટના, વંદે ભારત ટ્રેનની અડફેટે મહિલાનું મોત
આણંદમાં વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા એક મહિલાનું મોત નિપજ્યુ છે. મૃતક મહિલાની ઓળખ બીટ્રાઈસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે. એક અધિકારીએ આપેલ રિપોર્ટ અનુસાર મહિલા સાંજે 4.30 વાગ્યે ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે જ ટ્રેનની અડફેટે આવી ગઈ હતી.
આણંદ રેલ્વે સ્ટેશન નજીક મંગળવારે મુંબઈ જઈ રહેલી સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરે આવતા 54 વર્ષીય મહિલાનું મોત થયુ છે. રેલવે પોલીસે આ જાણકારી આપી છે. એક અધિકારીએ એમ પણ જણાવ્યું કે મૃતકની ઓળખ બીટ્રાઈસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે. તેમણે કહ્યું કે અકસ્માત સાંજે 4.37 વાગ્યે થયો હતો. તે સમયે મહિલા ટ્રેક ક્રોસ કરી રહી હતી. તેમણે જણાવ્યુ કે અમદાવાદની રહેવાસી પીટર આણંદમાં એક સંબંધીને મળવા જઈ રહી હતી.
ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહી હતી. અધિકારીએ જણાવ્યું કે આણંદમાં ટ્રેનનું કોઈ સ્ટોપેજ નથી, વધુ તપાસ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે આ ઘટના વંદે ભારત ટ્રેન પર કથિત રીતે પથ્થરમારો થયાના એક દિવસ બાદ બની છે, જેમાં AIMIM પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રવાસે હતા. જોકે પોલીસે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે સોમવારે બનેલી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનામાં ટ્રેનની અડફેટે આવતા ઓછા ઓછા ત્રણ પશુઓના મોત થઈ ચુક્યા છે.
ટ્રેક પર ઢોરના મોતના ત્રણ બનાવો
આપને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં ટ્રેનની અડફેટે આવતા ઢોરના મરવાના ઓછામાં ઓછી ત્રણ ઘટના બની છે. 29 ઓક્ટોબરના રોજ વલસાડમાં અતુલ સ્ટેશન નજીક સવારે 8.30 વાગ્યે એક ગાય મુંબઈ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઈ હતી, જેનાથી એન્જિનના નાકના કવરને નુકસાન થયું હતું. આ પહેલા 7 ઓક્ટોબરે ગુજરાતના આણંદ નજીક ટ્રેન મુંબઈ જઈ રહી હતી ત્યારે એક ગાય ટ્રેન સાથે અથડાઈ હતી.
તેના એક દિવસ પહેલા એટલે કે 6 ઓક્ટોબરે, ગુજરાતના વટવા અને મણિનગર રેલ્વે સ્ટેશનો વચ્ચે મુંબઈથી ગાંધીનગર જતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં ચાર ભેંસોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ ટ્રેનની નોઝ પેનલ ખરાબ થઈ જતા તેને રાતોરાત બદલવી પડી હતી. આ પહેલા 30 સપ્ટેમ્બરે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કર્યું હતું.