મધ્યગુજરાતની બે બેઠકો પર મામા ભાણીયાની દાવેદારી, આણંદથી પૂર્વ સાંસદ દિલીપ પટેલે ટિકિટ માગી તો નડિયાદથી ભાણીયા રાજન દેસાઈએ કરી દાવેદારી
Gujarat ELEction 2022: વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ લેવાનો આજે બીજો દિવસ છે. જેમા મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની બે બેઠકો પર મામા-ભાણીયાએ ટિકિટ માગી છે. આણંદથી પૂર્વ સાંસદ દિલીપ પટેલે ટિકિટ માગી છે તો નડિયાદથી તેમના ભાણીયા રાજન દેસાઈએ ટિકિટ માગી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે સેન્સ લેવાનુ શરૂ કર્યુ છે. સેન્સ લેવાનો આજે બીજો દિવસ છે. 27.10.22થી ભાજપે કાર્યકરોની અને ઉમેદવારોની સેન્સ લેવાની શરૂઆત કરી છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની બે બેઠક પર મામા અને ભાણિયાએ ટિકિટની માગણી કરી છે. આણંદ વિધાનસભા બેઠક પર પૂર્વ સાંસદ દિલીપ પટેલે ટિકિટ માગી છે તો તેમના સગા ભાણિયા રાજન દેસાઈએ નડિયાદ બેઠકથી ભાજપમાં ટિકિટની માગણી કરી છે.
નડિયાદની બેઠક પર ભાજપના અનેક દાવેદારો ટિકિટની માગણી કરી રહ્યાં છે. જો મુખ્ય ચહેરાઓ પર નજર કરીએ તો નડિયાદના વર્તમાન ધારાસભ્ય અને ભાજપના મુખ્ય દંડક પંકજ દેસાઈએ ફરી એકવાર ટિકિટ માગી છે. ઉપરાંત જિલ્લા ભાજપના પ્રમુખ વિપુલ પટેલ પણ રેસમાં છે. ભાજપના પ્રદેશ મંત્રી જાન્વી વ્યાસ પણ ચૂંટણી લડવા થનગની રહ્યાં છે. તો ભાજપના પ્રદેશ IT કન્વીનર નિખિલ દેસાઈ અને સક્રિય કાર્યકર રાજન દેસાઈએ પણ ચૂંટણી લડવા તૈયારી બતાવી છે.
નડિયાદ બેઠકની જો વાત કરીએ તો નડિયાદ બેઠક પર ભાજપમાં 5 મુખ્ય દાવેદારો છે. જ્યારે આણંદ બેઠક પર પ્રદેશ IT કન્વીનર નિખીલ પટેલે દાવેદારી નોંધાવી છે ઉપરાંત પૂર્વ સાંસદ દિલીપ પટેલે દાવેદારી કરી છે. જિલ્લામાં બે બેઠકો પર મામા ભાણીયાએ દાવેદારી કરતા ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે જોવુ રહેશે કે ભાજપનું મોવડીમંડળ અહીંથી કોને ટિકિટ આપશે.
મધ્ય ગુજરાતની વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક માટે 175 જેટલા અપેક્ષિત આગેવાનોએ નિરીક્ષકો સમશ્ર પોતાનુ મંતવ્ય રજૂ કર્યુ. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને પૂર્વ ધારાસભ્ય સતિશ પટેલે ફરી એકવાર ટિકિટની માગણી કરી છે. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ સહિતના અનેક દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે તમામ કાર્યકરોની રજૂઆત સાંભળવામાં આવશે. જો કે તમામ ઉમેદવારોએ પાર્ટી જેને પણ ટિકિટ આપે તેને વિજયી બનાવવાના સૂર વ્યક્ત કર્યા છે.
આ તરફ ભાજપ માટે સૌથી સલામત ગણાતી માંજલપુર વિધાનસભા બેઠક પર 40થી વધારે ઉમેદવારોએ ટિકિટની માગણી કરી છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ફરી એકવાર ઉમેદવારી નોંધાવતા પાટીદાર કાર્ડ આગળ કર્યું છે. પૂર્વ પ્રધાન યોગેશ પટેલે કહ્યું કે વડોદરા શહેર, જિલ્લામાં પહેલા 5 પટેલ ધારાસભ્યો ચૂંટાતા હતા. યોગેશ પટેલે કહ્યું કે હું એકલો જ પટેલ ઉમેદવાર છું અને સાત વખતથી ચૂંટણી જીતવામાં સફળ રહું છું. માંજલપુરમાં સારૂ કામ થયું હોવાથી હવે દરેક વોર્ડમાંથી પાટીદાર આગેવાનોએ ટિકિટની માગણી કરી છે.