‘ગ્રાન્ટ’ શું તમારા વડવાઓ આપી ગયા છે ? જનતાને ભીખારી સમજવાની ભૂલ કરનારા સાંસદનો અહંકાર રોળાયો, ભાજપના ગઢમાં કોંગ્રેસનો ‘પંજો’ મજબૂત

'ગ્રાન્ટ' શું કોઈ નેતાની ખાનગી જાગીર છે કે, તે જનતાને ધમકાવી શકે? આણંદના આંકલાવમાં લોકશાહીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જ્યાં સત્તાના નશામાં ચૂર નેતાને પ્રજાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ટૂંકમાં, જે ગઢમાં ભાજપ હુકમ ચલાવતું હતું, ત્યાં જ પ્રજાએ નેતાના અહંકારને તોડીને કોંગ્રેસનો પંજો મજબૂત કર્યો છે.

ગ્રાન્ટ શું તમારા વડવાઓ આપી ગયા છે ? જનતાને ભીખારી સમજવાની ભૂલ કરનારા સાંસદનો અહંકાર રોળાયો, ભાજપના ગઢમાં કોંગ્રેસનો પંજો મજબૂત
| Updated on: Apr 28, 2026 | 6:30 PM

આણંદમાં લોકશાહીના મેદાનમાં ક્યારેક નેતાઓ દ્વારા ફેંકવામાં આવેલા શબ્દોના બાણ કેવી રીતે પક્ષ પર જ ભારે પડી શકે છે, તેનો જીવંત દાખલો આંકલાવમાં જોવા મળ્યો છે. આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા ગ્રાન્ટ અટકાવવાની આપવામાં આવેલી ખુલ્લી ચીમકી ભાજપ માટે ‘બેકફાયર’ સાબિત થઈ છે અને આંકલાવમાં કોંગ્રેસનો પંજો વધુ મજબૂત બનીને ઉભર્યો છે.

20 તારીખે વિવાદાસ્પદ નિવેદન આપ્યું

સમગ્ર વિવાદની વાત કરીએ તો, ગત 20 તારીખે આંકલાવ ખાતે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી એક જાહેર સભામાં સાંસદ મિતેશ પટેલે આક્રમક તેવર બતાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે જાહેરમાં ચીમકી ઉચ્ચારી હતી કે, જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક કોંગ્રેસ જીતશે, તો તે વિસ્તારના વિકાસ માટે એક રૂપિયો પણ ગ્રાન્ટ આપવામાં આવશે નહીં.

ભાજપના ગઢમાં ફરકાયો કોંગ્રેસનો પંજો

સાંસદના આ પક્ષપાતી વલણ અને ધમકીભર્યા નિવેદન બાદ આંકલાવની જનતામાં છૂપો રોષ જોવા મળ્યો હતો, જેનું પરિણામ હવે ઈલેક્શનના આંકડાઓમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આંકલાવ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકના જાહેર થયેલા પરિણામો મુજબ, કોંગ્રેસે 13 બેઠક પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા છે, જ્યારે ભાજપના ફાળે માત્ર 7 બેઠક જ આવી છે. જનતાએ વોટ દ્વારા એ સાબિત કરી દીધું છે કે, તેમને સાંસદની આ આક્રમકતા અને વિકાસના નામે આપવામાં આવેલી ચીમકી જરાય પસંદ પડી નથી.

એક નિવેદને ઘણા સવાલો ઊભા કર્યા

હવે જ્યારે આંકલાવમાં કોંગ્રેસ શાસિત પંચાયત બની છે, ત્યારે રાજકીય વર્તુળમાં અનેક સવાલો ઊઠી રહ્યા છે. શું સાંસદ પોતાની જીદ પર અડગ રહીને ખરેખર આંકલાવની વિકાસ ગ્રાન્ટ રોકી દેશે? લોકશાહીમાં જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ માટે માત્ર રાજકીય પક્ષપાતને કારણે ગ્રાન્ટ અટકાવવી કેટલી યોગ્ય છે? આ પરિણામો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે, આગામી સમયમાં આંકલાવના વિકાસના મુદ્દે ભાજપના સાંસદ અને કોંગ્રેસ શાસિત પંચાયત વચ્ચે જોરદાર ટકરાવ જોવા મળી શકે છે.

આંકલાવમાં સાંસદના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, ભાજપની સરકારને જનતાની ચિંતા નથી. વિકાસના નામે વોટ લેનારી આ સરકાર કેમ તેના વાયદાઓથી પીછેહઠ કરે છે? શું ભાજપમાં આવા જ નેતાઓ છે કે, જે જનતાને ધમકી આપે અને પોતાનો રોબ જમાવે? જો આવા સાંસદ હશે તો જનતાનું શું થશે? ભાજપા પાર્ટી આમ ‘બેટી બચાઓ અને બેટી પઢાઓ’ના નારા પર ભાર આપે છે, તો થોડું ભાર આવા સાંસદ પર પણ આપવું જોઈએ.

Breaking News: અમદાવાદમાં રાજકીય ઈતિહાસ સર્જાયો, ખાડિયામાં ભાજપનું કમળ કરમાયું – જુઓ Video

Published On - 6:12 pm, Tue, 28 April 26

Follow Us