ગુજરાતમાં સિંહ દર્શનની (Lion in gujarat) અનેરી તક મળી રહે તે માટે સાસણમાં દેવળિયા પાર્ક બાદ અમરેલી (Amreli)જિલ્લાના ધારીમાં આંબરડી પાર્ક (Amberdi Park Dhari)બનાવાવમાં આવ્યો છે. ત્યારે કોરોનાના બે વર્ષ ઘરમાં રહેલા પ્રવાસીઓએ સિંહ દર્શન માટે આંબરડી પાર્ક પર પસંદગી ઉતારી હોય તેમ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. એપ્રિલ મહિનામાં આંબરડી પાર્કમાં 925 જેવા પ્રવાસીઓ આવ્યા હતા. તેની સરખામણીએ મે મહિનામાં આંબરડી પાર્કમાં 2500 ઉપરાંત પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવ્યા હતા.
હાલમાં વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે અમરેલી (Amreli)જિલ્લાના ધારીમાં આવેલા આંબરડી પાર્કમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા અને એપ્રિલ મહિના કરતાં મે મહિનામાં અહીં વધારે સંખ્યામાં પ્રવાસીઓ નોંધાયા હતા. પ્રવાસીઓ સિંહ દર્શનનો આનંદ માણી શકે તે માટે રાજ્યના વન વિભાગ દ્વારા ધારી શહેરના ખોડિયાર ડેમ પાસે આવેલા આંબરડી પાર્કમાં સિંહ પરિવારને છૂટ્ટો મૂકવામાં આવેલો છે. જેને જોવાનો આનંદ દેશ વિદેશ તેમજ રાજ્યના પ્રવાસીઓ માણી શકે છે. સિંહની સાથે સાથે અન્ય પશુપક્ષીઓને જોવાનો આનંદ સહેલાણીઓ માણી શકે તે માટે અહીં વાહનવ્યવહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
નોંધનીય છે કે રાજ્યમાં સિંહ દર્શન માટે ગીરમાં આવેલા દેવળિયા બાર્ક બાદ અમરેલી જિલ્લાના ધારીના આંબરડી પાર્કમાં વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ ગુજરાતનો મોટો સફારી પાર્ક છે જેની મુલાકાત લેવા દેસ વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે.થોડા સમય પહેલા જ આંબરડી પાર્કમાં અહીં પ્રવાસીઓની બસ જતી હતી ત્યારે સિંહ ઝાડ પર ચઢી ગયો હતો અને પ્રવાસીઓએ આ વીડિયો ઉતારી લીધો હતો. સિંહનું આવું કરતબ જોઈને પ્રવાસીઓ આનંદમાં આવી ગયા હતા.
થોડા સમય પહેલા અમરેલીના રાજુલાના કોવાયા ગામની નજીક સિંહ પરિવારે ધામા નાંખ્યા હતા. જેમાં સિંહ, સિંહણ અને સિંહબાળ સહિત 8 સિંહ જોવા મળ્યા હતા તો ગત વર્ષે અમરેલીના રાજુલાના ગામડામાં દીવાલ કૂદીને જતા રહ્યા હતા. તો તાજેતરમાં જ એક સિંહ બાળ જોવા મળ્યું હતું.
અમરેલી પંથકમાં ઘણી વાર સિંહ વિહરતા જોવા મળતા હોય છે ત્યારે પ્રવાસીઓ દ્વારા સિંહની કનડગત કરવામાં આવતી હોવાની ઘટનાઓ પણ સામે આવતી રહેતી હોય છે. આવા સમયે વન વિભાગ દ્વારા આરોપીઓ સામે પગલાં લેવાતાં હોય છે તેમજ વનવિભાગ દ્વારા પણ સિંહ સહિતના વન્ય પ્રાણીઓને હેરાન ન કરવાની સૂચના આપવામાં આવતી હોય છે.