ગુજરાતમાં ચોમાસાએ (Gujarat Monsoon) વિદાય લીધી છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી બદલાયેલા વાતાવરણને (Atmosphere) પગલે રાજ્યના વિવિધ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે, આજે સાંજે અમરેલીના ધારીમાં 3 ખેડૂતો ઉપર વીજળી પડી (Lightning struck) હતી. જેમાં એક ખેડૂતનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય 2 ખેડૂતો વીજળીથી ફંગોળાઈને દૂર પડ્યા હતા અને તેમને ભારે ઈજાઓ થઈ હતી. આ ખેડૂતોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેમજ મૃત ખેડૂતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં પણ વાતાવરણમાં ફેરફાર નોંધાયો હતો અને ખાસ તો ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો, ગીર સોમનાથના પંડવા, કોડીદ્રા, ભેટાળી, માથાશુરીયા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. આ માવઠાને કારણે ખેડૂતોની મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે. સતત ત્રીજા દિવસે ધાવા,સૂરવા,મોરૂકા સહીતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
ઉતર ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા દાંતા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદના પગલે ખેડૂતોના મગફળી અને કપાસના પાકને નુકસાન થઈ શકે છે. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
રાજ્યભરમાંથી ચોમાસાની વિદાય સાથે હવે કમોસમી વરસાદની સંભાવના નહીવત રહી છે. જો કે હવામાન વિભાગ દ્વારા વાદળછાયું વાતાવરણની આગાહી કરવામાં આવી છે. સાથે જ ગરમીનો પારો વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેને લોકોને પગલે બેવડી ઋુતું પણ અનુભવ થઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય તો થઇ ચુકી છે. જો કે છેલ્લા થોડા દિવસથી કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતોનો તૈયાર થયેલો પાક પલળી ગયો છે.
વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળ્યું છે. કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર કહેર વરસાવ્યો છે. નવસારી જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ગીર સોમનાથના ઊના (Una) અને ગીર ગઢડા પંથકમાં મેઘરાજા આફત બની વરસ્યા છે. ખેડૂતોની મગફળીના પાથરા પલળી ગયા છે. તો છોટાઉદેપુરમાં પણ સતત ત્રણ દિવસથી વરસાદ પડતા તુવેરના વાવેતરને નુકસાની પહોંચી છે.