
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે આણંદ ખાતે યોજાયેલા ભવ્ય સહકારી સંમેલનમાં દેશના સહકારી ક્ષેત્ર માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી. આ સાથે તેમણે સહકાર મંત્રાલયની સ્થાપનાના ચાર વર્ષ પૂર્ણ થયાની પણ યાદગાર ઉજવણી કરી. સંમેલનમાં 10 હજારથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે જણાવ્યું કે આગળનાં વર્ષોમાં ભારત સહકારિતા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ વધુ મજબૂત કરશે. સહકારના માધ્યમથી ખેડૂતો, મહિલાઓ સહિત દેશના લોકોની આર્થિક સમૃદ્ધિ માટે કાર્ય શરૂ થયું છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના સંકલનના પરિણામે સહકારી ક્ષેત્રે મહત્વપૂર્ણ ઉન્નતિ થઈ છે.
તેમણે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં સહકાર મંત્રાલય દ્વારા 60થી વધુ નવા ઇનિશિએટિવ હાથ ધરવામાં આવ્યા છે, જેમ કે નમક ઉત્પાદનમાં કો-ઓપરેટિવ મોડેલ, ડિજિટલ પ્લેટફોર્મની સ્થાપના, નીતિ પરિવર્તન અને સ્થાનિક સ્તરે સહકારી મંડળીઓની મજબૂતી.
અમિત શાહે જણાવ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે કારણ કે 1901માં આજના દિવસે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ થયો હતો. મુખર્જીએ આઝાદી પૂર્વે જ દેશની સમસ્યાઓને વાચા આપી અને કાશ્મીરના મુદ્દે “એક દેશ, એક વિધાન”ની વાત કરી હતી.
તેમણે ઉમેર્યું કે જો પશ્ચિમ બંગાળ આજે ભારતનો હિસ્સો છે, તો તેનું શ્રેય મુખર્જીને જાય છે. મુખર્જીએ નહેરુ સરકારમાંથી રાજીનામું આપીને જનસંઘની સ્થાપના કરી હતી, જેને આજે ભાજપ તરીકે 12 કરોડ સભ્યો સાથે દેશનો સૌથી મોટો પક્ષ બનાવવામાં આવ્યો છે.
અમિત શાહે જણાવ્યું કે NDDB અને અમૂલ સહિત અન્ય સહકારી સંસ્થાઓએ ભારતીય દૂધ ઉદ્યોગ અને ગ્રામિણ વિકાસમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે. તેમજ મીઠું પકવવાની નવી પહેલથી સહકાર ક્ષેત્રમાં નવો આયામ ઉમેરાયો છે. હાલમાં સહકારી ક્ષેત્રની બેલેન્સ શીટ ₹80,000 કરોડ છે અને આગામી દિવસોમાં તે ₹1 લાખ કરોડ થવાની સંભાવના છે. આ ઉપરાંત અમિત શાહે સંબોધનમાં સરકાર દ્વારા રચાયેલા “5P” મોડેલ — લોકો, પ્રાથમિક સહકારી મંડળીઓ, ડિજિટલ પ્લેટફોર્મ, નીતિઓ અને સમૃદ્ધિની વાત કરી છે.