
અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ 24 કલાક વીતી ગયા હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ પૂર્ણ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને સફળતા મળી નથી. શહેરના અનેક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ શહેરમાં કુલ 148 રસ્તાઓ પર પાણી ભરાયાની ફરિયાદો નોંધાઈ હતી. જેમાંથી અત્યાર સુધીમાં 52 રસ્તાઓ પરથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે હજુ પણ 96 રસ્તાઓ પર પાણી કાઢવાની કામગીરી ચાલુ છે.
તે જ રીતે રહેણાંક વિસ્તારોમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. શહેરની 126 સોસાયટીઓમાં પાણી ભરાયાની ફરિયાદો સામે આવી હતી. જેમાંથી માત્ર 47 સોસાયટીઓમાં પાણીનો નિકાલ પૂર્ણ થયો છે, જ્યારે 79 સોસાયટીઓમાં હજુ પણ પાણી કાઢવાની કામગીરી ચાલુ છે.
વરસાદ બંધ થયાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોમાં AMCની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે, જ્યારે અનેક રહેણાંક વિસ્તારોમાં લોકોને ઘર બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે.
શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ઝડપી નિકાલ માટે AMC દ્વારા પંપિંગ મશીનો અને કર્મચારીઓની ટીમો તૈનાત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, અનેક વિસ્તારોમાં કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. નાગરિકોની માંગ છે કે પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં કાયમી સુધારા કરવામાં આવે.
Published On - 5:58 pm, Fri, 24 July 26