રાજયમાં (GUJARAT) વરસાદના આગમનની રાહ જોવાઈ રહી છે. આ વરસે ચોમાસું (Monsoon)કેવું રહેશે તેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ગુજરાતમાં રવિવારથી રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી રહ્યુ છે. આ સાથે રાજ્યમાં બે-ત્રણ દિવસમાં ચોમાસાનું આગમન થવાની ચર્ચા થવા લાગી હતી. જો કે હવામાન વિભાગે માહિતી આપી છે કે ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે. હાલ રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે તાપમાન યથાવત રહી શકે છે. સાથે જ હવામાન વિભાગના (Meteorological Department)જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુકુ વાતાવરણ રહેશે. રાજસ્થાનમાં લો પ્રેશરના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે આ દરમિયાન 10થી 20 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાઈ શકે છે તો બીજી તરફ હાલ રાજ્યમાં ગરમી યથાવત રહેશે. દક્ષિણ તરફથી ફુંકાતા પવનને કારણે તાપમાન યથાવત રહેશે. જો કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
રવિવારે અમદાવાદમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ત્યારે હજુ પણ અમદાવાદમાં ગરમીનો પારો આકરો જ રહેવાની સંભાવના છે. ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થશે. જોકે 40 ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવી શક્યતા છે. રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ રહેવાને પગલે તાપમાનમાં વધ ઘટ થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
નોંધનીય છે કે હવામાનની આગાહી કરતી ખાનગી સ્કાયમેટ સંસ્થાના (Skymet Institute) જણાવ્યા પ્રમાણે આ વખતે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેશે અને સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણે રહેશે અને તાપમાનમાં સામાન્ય વધારો અને ઘટાડો નોંધાતો રહેશે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થશે અને આ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં આવતા-આવતા 10થી 15 જૂન થઈ જશે અને 15-20 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે.
હવામાન વિભાગ પ્રમાણે ‘નૈઋત્યના ચોમાસાનું ભારતમાં (INDIA) આગમન થઈ ચુક્યું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે આંદામાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઈ જશે. કેરળમાં 27 મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 98.48 ટકા વરસાદ નોંધાયો હતો.