વિદ્યાસહાયકો (Vidyasahayak) ની બદલી મુદ્દે રાજ્ય સરકારે (state government) બહાર પાડેલા પરિપત્ર પર હાઇકોર્ટે (High Court) રોક લગાવી છે. કોર્ટે અરજદારની રજૂઆતને માન્ય રાખી નવા પરિપત્રની અમલવારી પર સ્ટે આપી દીધો છે. મહત્વનું છે કે વિદ્યાસહાયકોની બદલી સમયે નોકરીના વર્ષોની સિનિયોરીટી ગણાશે નહીં તેવો સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો. જેને લઇ વિદ્યાસહાયકોને નોકરીના વર્ષોની સિનિયોરીટી મળે તે માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને સરકારના પરિપત્રને રદ કરવા માટે માંગ કરવામાં આવી હતી.
ઉલ્ખની છે તે ગત 3 એપ્રિલના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ શિક્ષણ વિભાગના મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના શિક્ષણનું હિત, શિક્ષકોનું હિત તથા શૈક્ષણિક સંઘો મહાસંઘોની લાગણી અને માગણીને સામેલ કરી રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની જિલ્લાફેર બદલીઓના નિયમો સંદર્ભે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યાં હતા.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં કરેલા ઐતિહાસિક સુધારાની વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો તા.23/05/2012ના ઠરાવથી નિયત થયાં હતાં. માન્ય શૈક્ષણિક સંગઠનો તેમજ શિક્ષકોનું હિત ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો તૈયા૨ ક૨વામાં આવ્યાં છે. જે અંતર્ગત અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના 40 ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવતો હતો. તેના બદલે નવા નિયમો મુજબ જે તે જિલ્લામાં ખાલી 100 ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે.
મંત્રીએ કહ્યું કે, જિલ્લા ફેર, અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવાં જરૂરી હતાં તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવી છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વિદ્યા સહાયકોની બદલી ન્યાયી રીતે થાય તેનું મંથન કરીને 10 વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવાં શિક્ષકો 5 વર્ષ પછી જિલ્લા ફેરબદલી કે જિલ્લા અરસ પરસ બદલી માટે અરજી કરી શકશે. એટલું જ નહિ, જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ/પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે.