ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ, માર્ચ 2024માં ગુજરાતમાં 1588 શાખાઓ કાર્યરત હતી, જે માર્ચ 2025માં વધીને 1747 થઈ ગઈ છે. આ ઉપરાંત, સાપ્તાહિક શાખાઓની સંખ્યા 1123 માંથી 1476 પર પહોંચી ગઈ છે, જ્યારે મહિને મળતી સંઘ મંડળી પણ 625 માંથી 838 થઈ છે.
RSSની શાખાઓ દેશભરમાં વ્યક્તિગત વિકાસ, રાષ્ટ્રવાદી વિચારસરણી અને સમાજ સેવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરરોજ મળતી શાખાઓ ઉપરાંત, સાપ્તાહિક અને માસિક મંડળી સંઘના કાર્યકર્તાઓ માટે વિશેષ માર્ગદર્શન અને તાલીમનું કામ કરે છે. ગુજરાતમાં RSSની શાખાઓનો વિસ્તરતો વ્યાપ સંઘની લોકપ્રિયતા અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ પ્રત્યે વધતા ઉત્સાહ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અંગે ચિંતા
21થી 23 માર્ચ દરમિયાન બેંગ્લોરમાં આયોજિત અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની સ્થિતિ અંગે RSSએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંઘે આ મુદ્દે ઠરાવ પસાર કર્યો અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને હિન્દુઓની પરિસ્થિતિ અંગે ધ્યાન આપવા માટે અપીલ કરી.
સંઘે મણિપુરમાં ચાલી રહેલી અશાંતિ પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરી છે. મણિપુરમાં સમાધાન અને શાંતિ સ્થાપિત કરવા માટે સરકાર અને સ્થાનિક સંગઠનોને વધુ પ્રયાસો કરવાની પણ ભલામણ કરવામાં આવી.
ગુજરાતમાં RSSની શાખાઓમાં થયેલા વધારા પાછળ યુવાઓમાં રાષ્ટ્રવાદ પ્રત્યેની આસક્તિ, કોઈપણ આપત્તિ સમયે સંઘ દ્વારા કરવામાં આવતી સામાજિક સેવા અને સમાજના વિવિધ વર્ગોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ મુખ્ય કારણો છે. વિવિધ કાર્યક્રમો અને શિબિરો દ્વારા સંઘે સમાજને સંગઠિત કરવાની દિશામાં કાર્ય કર્યા છે, જેના કારણે તેની લોકપ્રિયતા વધી રહી છે.
With Input- Narendra Rathod- Ahmedabad
Published On - 5:47 pm, Mon, 24 March 25