
ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હવે માવઠું ત્રાટકી શકે છે. માર્ચ મહિનાથી શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી કમોસમી વરસાદ કહેર મચાવી શકે છે. જાણો ઉનાળાની શરૂઆતમાં આખરે કેમ માવઠું કહેર મચાવશે.
માર્ચની શરૂઆતમાં માવઠું રાજ્યમાં હાહાકાર મચાવી શકે છે. હવામાન વિભાગની ડરામણી આગાહી સામે આવી છે. આમ તો માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થઇ જતી હોય છે,પરંતુ આ વખતે માર્ચ મહિનાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે.
છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ હવે ગુજરાતમાં વરસાદની આગાહી કરી દીધી છે. આ સાથે હવામાન વિભાગે પોતાની આગાહીમાં દરિયાકાંઠે 45થી 55 પ્રતિકલાક સ્પીડ રહેશે તેવી આગાહી કરી છે. જેના કારણે માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે.
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે એકથી ત્રણ માર્ચના રોજ હળવા વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે. પહેલી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. બીજી માર્ચે નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે.
હવામાન વિભાગે હાલ લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો બદલાવ આવશે નહીં. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 20.2 અને ગાંધીનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે આગામી 24 કલાકમાં અમદાવાદમાં 21 અને ગાંધીનગરમાં 20 ડિગ્રી તાપમાન થવાનું અનુમાન છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે માર્ચ મહિનાની શરૂઆતથી જ હવામાનમાં મોટા ફેરફાર આવી રહ્યા છે. માર્ચ મહિનામાં માવઠાની સાથે તોફાની પવન પણ કહેર મચાવી શકે છે.
આમ માર્ચની શરૂઆત તોફાની રહેશે. હાલ જો માવઠું વધારે કહેર મચાવશે, તો ખેડૂતોને ઘઉંના પાકમાં નુકસાન થઇ શકે છે.હાલ તો સામાન્ય વરસાદની જ શકયતાઓ છે. જો કે આગામી દિવસોમાં કેવી રીતે વાતાવરણ રહે છે તેના પર સૌની નજર રહેશે.
Published On - 9:09 am, Wed, 28 February 24