અમદાવાદમાં (Ahmedabad) થોડા દિવસ પહેલા વરસેલા વરસાદે (Rain) તારાજી સર્જી છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો (Farmers) પર આકાશી આફત આવી પડી છે. જે ખેડૂતોએ ડાંગરનો પાક કર્યો તે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તો ખેતરો (Farm) જાણે તળાવ બની ગયા છે. ખેતરમાં ખેડૂતે પોતે જ પગ મુકવો મુશ્કેલ બની ગયો છે. ખેડૂતોનો આરોપ છેકે તંત્રના વાંકે ખેડૂતોની આવી હાલત છે. ત્યારે ખેડૂતોએ રોડ અને પ્રાંત અધિકારીઓ સામે આ માટે આક્ષેપ કર્યા છે.
અમદાવાદ જિલ્લાના ધોળકામાં ભારે વરસાદ બાદ 1000 વિઘા ખેતર પાણીમાં ગરકાવ થઇ ગયા. ખેડૂતોનો સમગ્ર પાક પાણીમાં ડૂબી ગયો. જેના પગલે તાતનું ભાવિ પાણીમાં ખાક થઇ ગયુ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ધોળકાના સાથળ અને સહીજ ગામમાં આ સ્થિતિ સામે આવી છે. અહીં આકાશી આફતનો એવો તો ફટકો ખેડૂતોને પડ્યો છે કે હજાર વિઘા ખેતરમાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. પાણીમાં ડૂબેલા ખેતર હવે તળાવ બની ગયા છે
જે ખેતરમાં સપનાનું વાવેતર કરાયું એ સપના પર હવે પાણી ફરી વળ્યું છે. અહીં માત્ર પાક ડૂબ્યો નથી. અનેક ખેડૂતોની મહેનત ડૂબી ગઈ છે. ખેડૂતો માટે પોતાના જ ખેતરમાં પગ મુકી શકાય એવી સ્થિતિ રહી નથી. ત્યારે ખેડૂતોનો આરોપ છે કે, તંત્રએ કાંસની સફાઈ બરાબર ન કરતા આવી સ્થિતિ જોવા મળી છે. ખેડૂતોનું કહેવુ છે કે, ઘણા ખેડૂતો હવે ડાંગરનો પાક ઉગાડી શકે તેવી સ્થિતિમાં નથી.
ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે વારંવાર રજૂઆત છતાં સરકારી કર્મચારીઓ દ્વારા કામગીરી કેમ ન કરાઈ. રોડ ખાતા સહિત પ્રાંત અધિકારીને રજૂઆત છતાં કામગીરી કેમ નથી થઈ અને હવે જે ખેડૂતોને નુકસાન થયું તેમને વળતર ક્યારે મળશે? હાલ તો સાથળ અને સહીજ ગામના ખેડૂતો વરસાદી પાણીના નિકાલની ચિંતા કરી રહ્યા છે. હાલ આ ખેતરમાં ચલવા જેવી પણ સ્થિતિ નથી. ત્યારે સરકાર પાસેથી ખેડૂતો મદદની આશા રાખી રહ્યા છે.
(વીથ ઇનપુટ-અરવિંદ ઠાકોર, ટીવીનાઈન, ધોળકા)