
અમદાવાદમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) દ્વારા એક સંયુક્ત ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ હેઠળ, શાળાએ વાહન લઈને આવતા એવા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવામાં આવશે જેમની પાસે વાહન ચલાવવાનું લાયસન્સ નથી. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રોડ સેફ્ટી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને અકસ્માતો ઘટાડવાનો છે.
DEO કચેરી અને RTOના અધિકારીઓ સાથે મળીને શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરશે. આ ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓના ડ્રાઇવિંગ લાયસન્સ, હેલ્મેટ અને ટ્રાફિક નિયમોના પાલનની તપાસ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી લાયસન્સ વગર વાહન ચલાવતો અથવા હેલ્મેટ વિના ઝડપાશે, તો તેને શાળામાં પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવાયો છે. આવા કિસ્સાઓમાં વિદ્યાર્થીના વાલીઓને પણ જાણ કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આગામી સાત દિવસ દરમિયાન અમદાવાદની તમામ શાળાઓમાં રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોના પાલન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. લાયસન્સ વગર વાહન ચલાવવું એ કાયદાકીય ગુનો હોવા ઉપરાંત જોખમી પણ છે, અને આનાથી ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે.
DEO દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ શાળા આ બાબતે નિષ્ક્રિય જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ ડ્રાઇવ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સુરક્ષિત પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
મોટર વાહન અધિનિયમ મુજબ, જો કોઈ સગીર (18 વર્ષથી ઓછી ઉંમરનો) અથવા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર કોઈ વ્યક્તિ બાઇક ચલાવતા ઝડપાય છે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આવા કિસ્સામાં વાહન જપ્ત કરવામાં આવી શકે છે અને વાહનના માલિક અથવા વાલી સામે પણ કાર્યવાહી થઈ શકે છે. નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં વાહનનું રજિસ્ટ્રેશન પણ નિર્ધારિત સમય માટે સસ્પેન્ડ થઈ શકે છે. ઉપરાંત, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે અન્ય કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. તેથી પોતાની અને અન્ય લોકોની સુરક્ષા માટે હંમેશા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે જ વાહન ચલાવવું જોઈએ.
ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય, મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, જુઓ Video