એકતરફ કોંગ્રેસમાં જ્યાં અંદરખાને જ ટિકિટ માટે આંતરિક ખેંચતાણ જોવા મળી, ક્યાંક નારાજગી જોવા મળી તો વળી ક્યાંક ટિકિટ વેચીને ટિકિટની ફાળવણી કરાઈ હોવાની પક્ષના અંદરના લોકો દ્વારા આક્ષેપબાજી પણ જોવા મળી. ત્યારે આ તમામ આરોપ પ્રત્યારોપ વચ્ચે શાહપુર વોર્ડમાંથી સાવ જુદુ જ ચિત્ર ઉપસ્યુ છે. કોંગ્રેસે શાહપુર વોર્ડમાંથી પાથરણા બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા આશાબેન દંતાણીને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા છે.
કોંગ્રેસમાંથી શાહપુર જેવા વોર્ડનું ચૂંટણી લડવા માટેનું મેન્ટેડ મળતા આશા બહેન અત્યંત ખુશખુશાલ અને ચૂંટણી લડવા માટે ઉત્સાહિતછે. મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની તક આપતા તેમણે કોંગ્રેસનો આભાર વ્યક્ત કરતા કહ્યુ, કોંગ્રેસ પાર્ટીએ અમારા જેવા સામાન્ય વ્યક્તિને ટિકિટ આપી માન વધાર્યુ છે. ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના માર્ગદર્શન હેઠળ તેમનુ ફોર્મ ભરાઈ ગયુ છે.
આશાબેન છેલ્લા 25 વર્ષથી પાથરણા બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના પતિ અશ્વિન દંતાણી 25 વર્ષથી કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે. ત્યારે આશાબેનનુ કહેવુ છે કે તેમણે ક્યારેય પાર્ટી પાસે ટિકિટની માગણી કરી નથી. પાર્ટીએ જાતે જ તેમની વફાદારીને જોઈને ટિકિટની આપી છે. સાથોસાથ જે ચૂંટણી લડવા માટે, પ્રચાર માટે જે પણ આવશ્યક મદદની જરૂર હશે તે કરવા માટેની બાંહેધરી પણ આપવામાં આવી છે.
શાહપુર વોર્ડમાંથી તેઓ ચૂંટણી જીતી જશે અને કોર્પોરેટર બની જશે તો રમકડાનો વેપાર ચાલુ રાખશે કે બંધ કરી દેશે એવા સવાલ પર આશાબેને જણાવ્યુ કે તેઓ રમકડા વેચવાનો તેમનો બિઝનેસ તો શરૂ જ રાખશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે ગમે તેટલી મોટી કેમ ન બની જઉ મારા જૂના દિવસો ભૂલી જઉ એ ન બની શકે.
ઉલ્લેખનિય છે કે આશાબેનની ટક્કર ભાજપના રિપીટ ઉમેદવાર રેખાબેન ચૌહાણની સામે થવાની છે. ભાજપે તેમને શાહપુરથી રિપીટ કર્યા છે ત્યારે જોવુ રહ્યુ કે શાહપુરની જનતા કોના પર પસંદગી ઉતારે છે.
Input Credit- Narendra Rathod- Ahmedabad
Published On - 3:47 pm, Sun, 12 April 26