
સામાન્ય રીતે વિધાનસભામાં રાજ્યના નાગરિકોને નડતી સમસ્યાની ચર્ચા કરવાની હોય છે, પરંતુ છેલ્લા 2 દિવસથી વિધાનસભા ગૃહમાં ફાઈનલ મેચની ટિકિટ ન મળ્યાની ફરિયાદ ધારાસભ્યો કરી રહ્યા છે.ખુદ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આજ ફરિયાદ કરી રહ્યા છે. જાણીને નવાઈ લાગશે કે ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કે જેઓ ધરમપુર બેઠકથી ચૂંટાઈને આવ્યા છે તેમને ગૃહમાં કહ્યું કે અમે તો ટિકિટ માટે જયરામ ગામીતને પણ ફોન કર્યા હતા પણ તેમની પાસે પણ ટિકિટ ઉપલબ્ધ ન હતી, મહત્વનું છે કે જયરામ ગામીત હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે અને રમત ગમત વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યા છે.
આ અગાઉ કોંગ્રેસના નેતા અને વિધાનસભાના સભ્ય શૈલેષ પરમારે પણ સોમવારે ગૃહમાં કહ્યું હતું કે ધારાસભ્યોને પણ વિશેષ ટિકિટો આપવી જોઈએ અને પરિવાર સાથે મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા થવી જોઈએ. બીજી તરફ કોંગ્રેસ નેતા અને ગીર સોમનાથ બેઠક પરથી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે તમામ ધારાસભ્યોને 2-2 ટિકિટો આપવી જોઈએ જેથી તેઓ જોઈ શકે કે ખેલાડીઓ કેવી રીતે અને કેવું રમે છે. વાત અહીં પૂર્ણ નથી થતી.
મહત્વની વાત તો એ છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પણ ગૃહમાં બોલવા ઊભા થાય છે અને આશ્વાસન આપે છે કે આગામી સમયમાં યોજાતી મેચની અને તેમાં પણ ખાસ ફાઈનલ હોય તો તમામ ધારાસભ્યોને ટિકિટ મળે તે માટે ક્રિકટ એસોસિએશનને યોગ્ય રજૂઆત કરવામાં આવશે.
મહત્વનું છે કે વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેમાં ધારાસભ્યો પાસે તક હોય છે કે તેઓ પોતાના મત વિસ્તારની જરૂરી માંગણીઓ કરી શકે છે અને સરકાર ઇચ્છે તો તેને પૂર્ણ પણ કરી શકે છે. પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસ હાલ પોતે ફાઇનલની ટિકિટ ન મળ્યા નો અફસોસ કરી રહ્યા છે અને આગામી સમયમાં ટિકિટની વ્યવસ્થા થઈ જાય તેવી આશા રાખી રહ્યા છે.
Published On - 12:32 pm, Tue, 10 March 26