Breaking News : બીજી ઘટના બાદ ફરી જાગ્યું તંત્ર, લખનઉ અગ્નિકાંડ બાદ અમદાવાદ ફાયર વિભાગની કોચિંગ ક્લાસિસ પર તવાઈ

લખનઉ આગની દુર્ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. શહેરના ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વસ્ત્રાપુરમાં એક ઇન્સ્ટિટ્યૂટમાં સ્મોક ડિટેક્ટરની કમી અને અન્ય ખામીઓ મળી આવી હતી.

Breaking News : બીજી ઘટના બાદ ફરી જાગ્યું તંત્ર, લખનઉ અગ્નિકાંડ બાદ અમદાવાદ ફાયર વિભાગની કોચિંગ ક્લાસિસ પર તવાઈ
| Edited By: | Updated on: Jun 23, 2026 | 4:28 PM

લખનઉમાં તાજેતરમાં બનેલી ભયાવહ આગની ઘટના, જેમાં 15થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, તે ઘટનાએ સમગ્ર દેશમાં ફાયર સેફ્ટી અંગે ચિંતા જગાવી છે. આ દુર્ઘટનાના પડઘા અમદાવાદ સુધી પહોંચ્યા છે, જેના પગલે અમદાવાદ ફાયર વિભાગે શહેરમાં કાર્યરત તમામ ટ્યુશન અને કોચિંગ ક્લાસિસમાં ફાયર સેફ્ટીના પગલાં અંગે સઘન સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ લખનઉ જેવી કરુણ ઘટના અમદાવાદમાં પુનરાવર્તિત ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

ઇન્સ્ટિટ્યૂટના બેઝમેન્ટમાં પણ કાટમાળ

ફાયર વિભાગની ટીમો દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આવા જ એક ચેકિંગ દરમિયાન, વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી આમોર ફેશન ડિઝાઈનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ફાયર વિભાગને ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે સમગ્ર કોમ્પ્લેક્ષમાં સ્મોક ડિટેક્ટરની સદંતર કમી હતી, જે આગની શરૂઆતની જાણ કરવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, ઉપર-નીચે ઉતરવાના રસ્તાઓ પર પણ ખામીઓ જોવા મળી હતી, જે કટોકટીની સ્થિતિમાં લોકોના સલામત સ્થળાંતરમાં અવરોધરૂપ બની શકે છે. ઇન્સ્ટિટ્યૂટના બેઝમેન્ટમાં પણ કાટમાળ અને પુઠ્ઠા જેવો જ્વલનશીલ કચરો અસ્તવ્યસ્ત રીતે પડેલો હતો, જે આગનું જોખમ વધારી શકે છે.

કોચિંગ ક્લાસિસમાં ફાયર સેફ્ટીના સાધનો લાગેલા છે કે નહીં?

આ સમગ્ર કાર્યવાહી અંગે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, લખનઉની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને અમારા ચીફ ફાયર ઓફિસર તરફથી સ્પષ્ટ આદેશ મળ્યો હતો કે અમદાવાદમાં ચાલતા તમામ ટ્યુશન અને કોચિંગ ક્લાસિસમાં ફાયર સેફ્ટીના સાધનો લાગેલા છે કે નહીં, એક્ટિવ છે કે નહીં, અને જો નથી તો કેમ નથી, તેની વિસ્તૃત તપાસ કરવામાં આવે. આ આદેશના અનુસંધાને જ આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ફાયર વિભાગે ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોને આ તમામ ખામીઓને સાત દિવસમાં દૂર કરવા માટે નોટિસ ફટકારી છે. અધિકારીએ વધુમાં સ્પષ્ટતા કરી કે, જો સાત દિવસની સમયમર્યાદામાં આ ખામીઓ સુધારીને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં નહીં આવે, તો ફાયર વિભાગ દ્વારા સંબંધિત કોચિંગ ક્લાસિસને સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, ચેકિંગ દરમિયાન કેટલીક સિસ્ટમો ચાલુ હાલતમાં પણ મળી આવી હતી, જે સંતોષકારક બાબત છે, પરંતુ જ્યાં પણ ત્રુટિઓ છે તેને તાત્કાલિક સુધારવી અનિવાર્ય છે. અમદાવાદ ફાયર વિભાગની આ ઝુંબેશ શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા અને ભાવિ દુર્ઘટનાઓને ટાળવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

સુરતના તક્ષશીલા જેવી ઘટના UP માં, કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ, 15 લોકોના મોત

Follow Us