
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ છે. સાબરકાંઠાના ભારવાડા ગામના 21 વર્ષીય યુવરાજ નાડિયા નામના યુવકનું પગના સામાન્ય પ્લાસ્ટિક સર્જરીના ઓપરેશનના માત્ર ત્રણ કલાક બાદ મોત નિપજતા પરિવારજનોમાં આક્રોશ વ્યાપી ગયો છે. પરિવારજનોએ ડોક્ટરોની ઘોર બેદરકારી અને હોસ્પિટલના વહીવટ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, યુવરાજને ત્રણ મહિના પહેલા એક અકસ્માત નડ્યો હતો, જેના પગલે તેના પગમાં ઇજા થઈ હતી. ઇજા બાદ પગમાં રૂઝ ન આવતા અગાઉ એક ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ બીજું ઓપરેશન પગમાં ચામડી લગાવવાનું (સ્કિન ગ્રાફ્ટ – STG) હતું, જેને હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે પણ “ખૂબ જ સામાન્ય” અને “રૂટિન સર્જરી” ગણાવ્યું છે. યુવરાજને સવારે 10:45 વાગ્યે ઓપરેશન માટે લઈ જવાયો હતો અને લગભગ 12:45 વાગ્યે તેને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવવામાં આવ્યો હતો. તે સમયે તે ભાનમાં હતો, પરંતુ હાથમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી.
પરિવારજનોના જણાવ્યા મુજબ, યુવરાજને દુખાવો થતા નર્સે એક ઇન્જેક્શન આપ્યું હતું. આ ઇન્જેક્શન આપ્યા પછી બે-ત્રણ મિનિટની અંદર તે બેભાન થઈ ગયો અને પછી ક્યારેય ભાનમાં આવ્યો ન હતો. પરિવારનો ગંભીર આરોપ છે કે ઇન્જેક્શન આપ્યા બાદ કોઈ ડોક્ટર કે નર્સે યુવરાજની તપાસ કરી ન હતી. લગભગ ત્રણ કલાક સુધી તે બેભાન અવસ્થામાં જ રહ્યો, જેને પરિવારજનો દવાના કારણે ઊંઘી ગયો હોવાનું સમજતા રહ્યા. જ્યારે તેને વોર્ડમાં શિફ્ટ કરવાનો સમય આવ્યો, ત્યારે ડોક્ટરોએ તપાસ કરતા યુવરાજનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું. પરિવારનો દાવો છે કે જો ડોક્ટરો સમયસર આવ્યા હોત અને યુવરાજની તબિયત બગડતી જોઈને તાત્કાલિક સારવાર આપી હોત, તો તેનો જીવ બચાવી શકાયો હોત.
આ ઘટના અંગે સિવિલ સુપરિન્ટેન્ડન્ટે તપાસની ખાતરી આપી છે. સુપરિન્ટેન્ડન્ટે સ્વીકાર્યું છે કે આ ઓપરેશન “સાદું” હતું અને ઓપરેશન સંબંધિત કોઈ મુશ્કેલી નહોતી. તેમણે જણાવ્યું કે દર્દીને પોસ્ટ-ઓપરેટિવ વોર્ડમાં ત્રણ કલાક સુધી રાખવામાં આવ્યો હતો અને ત્યાં અન્ય 20 થી વધુ દર્દીઓ પણ હતા. જોકે, સામાન્ય ઓપરેશન બાદ યુવકનું મોત કેવી રીતે થયું તે મોટો પ્રશ્ન છે અને તેનો જવાબ મેડિકલ ઇન્વેસ્ટિગેશન બાદ જ સ્પષ્ટ થશે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.
પરિવારજનોએ અન્ય કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે જ્યારે યુવરાજની તબિયત બગડી, ત્યારે તેઓ રેસિડેન્ટ ડોક્ટરોને બોલાવવા ગયા હતા. પરંતુ રેસિડેન્ટ ડોક્ટરો સિગારેટ પી રહ્યા હતા અને તાત્કાલિક દર્દી પાસે પહોંચ્યા ન હતા. હોસ્પિટલ પરિસરમાં સિગારેટ પીવી એ નિયમ વિરુદ્ધ છે, જે વાત સુપરિન્ટેન્ડન્ટે પણ સ્વીકારી છે. આ ઉપરાંત, પરિવારજનો જ્યારે ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે સિક્યોરિટી સ્ટાફે તેમનો મોબાઈલ છીનવી લીધો હતો. સિક્યોરિટી સ્ટાફની દાદાગીરી અને “તમારે જે કરવું હોય તે કરી લો, અમારું કોઈ કશું બગાડી નહીં શકે” જેવા નિવેદનો પણ સામે આવ્યા છે.
એક મહિનાના વિલંબ બાદ થયું ઓપરેશન. યુવરાજને એક મહિના સુધી બેડ ખાલી ન હોવાના કારણે દાખલ કરવામાં આવ્યો ન હતો. તેને 15 દિવસ અને 10 દિવસ બાદ ફરી આવવાનું કહેવામાં આવ્યું હતું, જેના કારણે સારવારમાં વિલંબ થયો. યુવરાજ પહેલા પણ સિવિલ હોસ્પિટલમાં એક ઓપરેશન કરાવી ચૂક્યો હતો, જેમાં તે સફળ રહ્યો હતો અને સંપૂર્ણ સ્વસ્થ હતો. તે ગામમાં હરતો ફરતો અને સામાન્ય જીવન જીવતો યુવાન હતો, તેને કોઈ અન્ય ગંભીર બીમારી કે મેડિકલ હિસ્ટ્રી નહોતી. સામાન્ય પરિવારનો આ દીકરો આજે તેમના પરિવાર સાથે નથી, અને તેના મજૂરી કરતા માતા-પિતા ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી અનિવાર્ય છે.
ઓનલાઈન મળતું ફૂડ કેટલું સેફ? Blinkit, Zepto સહિતના ડાર્ક સ્ટોર્સમાં ફૂડ સેફ્ટીનો રિયાલિટી ચેક, જુઓ