અમદાવાદમાં ફરી એક વખત સગી દીકરી પર પિતાએ બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. હવસખોર પિતા છેલ્લા એકાદ વર્ષથી પોતાની સગીર વયની દીકરી પર બળાત્કાર ગુજારતો હતો. આખરે દીકરીએ કંટાળી સમગ્ર હકીકત પોલીસને જાણ કરી હતી. સગીર દીકરીની ફરિયાદને આધારે પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.
કહેવાય છે કે જ્યારે કોઈ સંતાનની માતા ના હોય ત્યારે તેના પિતા જ સંતાનો માટે માતા-પિતાની ભૂમિકા ભજવતો હોય છે, પણ અમદાવાદમાં એક પિતાએ પોતાની સગી દીકરી પર જ નજર બગાડી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના વટવા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પિતા તેના ત્રણ સંતાનો સાથે રહેતો હતો.
જો કે છેલ્લા આઠ વર્ષથી માતા ઘર છોડીને ચાલી ગઈ હોવાથી ત્રણેય સંતાનોનો ઉછેર પિતા દ્વારા જ કરવામાં આવતો હતો. છેલ્લા એક વર્ષથી પિતાએ તેની 15 વર્ષની મોટી દીકરી પર નજર બગાડી હતી અને તેને મારી નાખવાની ધમકી આપી તેના પર બળાત્કાર ગુજારતો હતો. જોકે નરાધમ બાપની આવી હરકતથી કંટાળી દીકરી પોલીસને શરણે પહોંચી હતી અને દીકરીની ફરિયાદને આધારે પોલીસે પિતાની ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે અને છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. આરોપી પિતા કલરકામની છૂટક મજૂરી કરે છે. પોતાની સગીર દીકરીને અન્ય કોઈ યુવક સાથે મિત્રતા હોવાની અને તેની સાથે મોબાઈલ પર છુપી રીતે વાતચીત કરતી હોવાની જાણ તેના ભાઈએ પિતાને કરી હતી.
જેથી પિતાએ આ તકનો લાભ ઉઠાવી દીકરીને ઠપકો આપી કે સમજાવવાની જગ્યાએ તેના પર નજર બગાડી અડપલા કરી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે દીકરીએ પણ તેના પિતાની હરકત પોતાના મિત્રને કહેતા આખરે પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દીકરીની ફરિયાદને આધારે વટવા પોલીસે પિતા વિરૂદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી હવસખોર પિતાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.