અમદાવાદ (Ahmedabad)માં સનાતન ધર્મના ચેરમેનને ISISના નામે ધમકી મળી હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં રહેતા અને સનાતન ધર્મંના ચેરમેન (Sanatan Dharm Chairman) તરીકે કાર્યરત ઉપદેશ રાણાને વધુ એકવાર ધમકી (Threat) મળી હોવાની ઘટના સામે આવી છે. જેમાં તેઓ અમદાવાદમાં કાગડાપીઠ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા વ્યક્તિએ તેમને ફોન કરીને તેમને અને તેમના સિક્યોરિટી ગાર્ડનો ગોળી મારી દેવાની ધમકી આપી હતી.
સનાતન ધર્મના ચેરમેન ઉપદેશ રાણા ગુરુવારે પોતાની ગાડીમાં અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા અને સારંગપુર તરફ પહોંચ્યા હતા તે સમયે તેમને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર શખ્સે પોતે ISISમાંથી બોલુ છુ કહીને તમારી ગાડીનો પીછો કરીએ છીએ અને તમારી સાથેના પોલીસ પ્રોટેક્શનવાળા વ્યક્તિને ગોળી મારીને તમને પણ ગોળી મારી દઈશુ તે પ્રકારની ધમકી આપી હતી. જેમાં ફરિયાદીએ પોલીસ સ્ટેશને જવાનું કહેતા જ સામેવાળી વ્યક્તિએ ફોન કાપી નાખ્યો હતો.
આ પ્રકારે ગર્ભિત ધમકી મળતા જ ફરિયાદી ઉપદેશ રાણાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાને પગલે ગુનો દાખલ કરી ISISની ઓળખ આપનાર અજાણ્યા શખ્સને શોધવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ ફરિયાદીની રેકી કરવામાં આવી હોવાથી તેમણે પણ અગાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને કાગડાપીઠમાં ધમકી મળ્યાની ઘટના બાદ તેમણે પણ સિક્યોરિટી વધારવા માટે કોર્ટમાં અરજી કરી છે, જેમાં તેમણે હથિયારધારી પ્રોટેક્શનવાળો પોલીસકર્મી મળે તે પ્રકારની માગ કરી છે. જો કે આ મામલે ફરિયાદીને ધમકી આપનાર શખ્સ કોણ છે અને ધમકી આપવા પાછળનો તેનો શું મોટિવ છે તે તો આરોપી પકડાયા બાદ જ સામે આવશે.
આપને જણાવી દઈએ કે ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની કેટલાક કટ્ટરવાદી તત્વોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. કિશન ભરવાડે ફેસબુક પર મુકેલી પોસ્ટથી ચોક્કસ સમુદાયની લાગણી દુભાઈ હતી. ત્ચારબાદ તેમણે પોસ્ટ ડિલિટ કરી નાખી હતી અને માફી પણ માગી લીધી હતી. બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થઈ ગયુ હતુ. પરંતુ થોડા દિવસોમાં જ તેની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા હતા.