
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા ધર્મેશ ગમારા હત્યા કેસના આરોપી સમીર અને રિઝવાનને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધંધુકામાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી. જે બાદ શહેરમાં બે કોમના ટોળા સામસામે આવી ગયા અને સામસામે મારામારી અને ઝપાઝપી કરવામાં આવી હતી. આ દરમિયાન અનેક વાહનો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી. ટોળામાંથી કેટલાક ઉગ્રવાદી તત્વોએ મોંઢા પર લુંગી બાંધીને અનેક અમદાવાદ ભાવનગર હાઈવે પર આવેલી અનેક દુકાનોમાં આગચંપી કરી હતી.
જે બાદ જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબુ કર્યો હતો અને હત્યા કરનારા આરોપી તેમજ અન્ય શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિને જોતા રિઝર્વ પોલીસ ફોર્સની તૈનાતી કરી દેવામાં આવી છે. હાલ સમગ્ર શહેરમાં અજંપાભરી શાંતિ છે.
પોલીસ દ્વારા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યા બંને આરોપીના 2 દિવસના, 22 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ સાથે આરોપીએ હત્યા માટે શસ્ત્ર તરીકે ઉપયોગમાં લીધેલી છરી કબજે કરવા આદેશ કરાયો છે. આરોપીઓનું હત્યા કરવા પાછળ અન્ય કોઈ મોટિવ હતુ કે કેમ? આ કોઈ પૂર્વ આયોજિત કાવતરુ હતુ કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. પોલીસની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓના નિવેદનમાં વિરોધભાસ હોવાનું સામે આવ્યુ છે.
આ તરફ ભરવાડ સમાજના યુવકની હત્યા મામલે સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકસાહિત્યકાર દેવાયત ખવડે આરોપીઓને ફાંસી આપવાની માગ કરી છે તો સાધુ સંતોએ પણ હવે યુપીની તર્જ પર ગુજરાતમાં પણ આવા જેહાદીઓ સામે એન્કાઉન્ટરવાળી કરવાની માગ કરી છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે વિરોધ નોંધાવ્યો છે.. અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને આરોપીઓને કડક સજા થાય અને તેમના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરે તેવી માગ કરી છે
હાલ સમગ્ર ધંધુકામાં કરફ્યૂ જેવી પણ સ્થિતિ છે. છેલ્લા 10 વર્ષમાં 5 જેટલી હત્યાની ઘટનાથી ધંધુકાની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠી રહ્યા છે. એક તરફ કિશન ભરવાડના કેસમાં યોગ્ય ન્યાય નથી મળ્યો ત્યાં વધુ એક ભરવાડ યુવકની વિધર્મી દ્વારા હત્યા કરી દેવાતા રોષાગ્નિ ભભુકી ઉઠ્યો છે.
Input Credit- Mihir Soni- Ahmedabad