AHMEDABAD : ગાંધી જયંતી પર રેલ્વે વિભાગે સ્વચ્છતા પખાવાડાની ઉજવણી કરી
યાત્રી સેવા સમિતિના ચેરમેન રમેશચંદ્ર રત્નએ કાર્યક્રમમાં હાજર તમામ લોકોને સ્વચ્છતા અને ગાંધીના મૂલ્યોને અપનાવવાના શપથ લેવડાવ્યા. જેથી શહેર, રાજ્ય અને દેશ એક નવા પથ પર ચાલી દેશનો વિકાસ કરી શકે.
AHMEDABAD : આજે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની દેશભરમાં ઉજવણી કરાઈ. ત્યારે રેલવે વિભાગે પણ ગાંધી જયંતિની અલગ ઉજવણી કરી. જેમાં આજે કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જે કાર્યક્રમમાં ગાંધીજીના મૂલ્યોના સૂત્રો સાથેનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું. તો આ સાથે તુલસીના રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રેલ્વે કર્મચારી સાથે રેલવે DRM તરુણ જૈન અને કેન્દ્રમાંથી યાત્રી સુવિધાનું સ્ટેશનો પર નિરીક્ષણ કરવા આવેલા યાત્રી સેવા સમિતિના ચેરમેન અને ટીમ હાજર રહી હતી. આ કાર્યક્રમમાં NGO ના કર્મચારી પણ જોડાયા. જેમાં એક બાળક ગાંધીજી બન્યું હતું અને તેમના વિચારો લોકો સુધી પહોચાડવાનો પ્રયાસ કર્યો.
મહત્વનું છે કે ગાંધીજી શરૂઆતથી સ્વચ્છતા પર ભાર મુક્ત આવ્યા હતા અને તેમના વિચારો પર વડાપ્રધાન પણ ભાર મૂકી દેશને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગાંધીજયંતિ આવે તે પહેલાં રેલ્વે વિભાગે સ્વચ્છતા પખવાડાની ઉજવણી પણ શરૂ કરી. જેમાં રેલ્વે સ્ટેશન ઓફિસ, કમ્પાઉન્ડ સહિતની જગ્યા પર સફાઈ અભિયાન હાથ ધરાયુ. સાથે જ પર્યાવરણને થતા નુકશાનને અટકાવવા કચરાનો યોગ્ય નિકાલ અને DRM ઓફિસ પર એસટીપી પ્લાન્ટ સ્થાપવા સહિત વૃક્ષા રોપણ અને છોડ વિતરણ પર પણ ધ્યાન અપાયુ. સાથે જ સ્વચ્છતા પખવાડા હેઠળ રેલી કાઢી લોકોમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ વિશે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરાયો. આ તમામ પ્રયાસને યાત્રી સેવા સમિતિના ચેરમેને વધાવ્યા અને તેના કારણે રેલવે સ્ટેશનની હાલત સુધરી રહી હોવાનું પણ યાત્રી સેવા સમિતિના ચેરમેને કાર્યક્રમ દરમિયાન જણાવ્યું.
એટલું જ નહીં દિલ્હીથી આવેલ યાત્રી સેવા સમિતિના ચેરમેને પણ આ કાર્યને આવકારી ગાંધી વિચારને આગળ વધારવા વાત કરી હતી. સાથે જ છેલ્લા કેટલાય દિવસથી તેઓ વિવિધ સ્ટેશનના નિરીક્ષણ પર હોવા અંગે નિવેદન આપતા કહ્યું કે યાત્રી સેવા સમિતિ મુસાફરો સુધી તમામ સુવિધા પહોચે છે કે નહીં તેની ખરાઈ કરે છે જેના માટે તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. જેમાં યાત્રી સેવા સમિતિએ અત્યાર સુધી 240 જેટલા સ્ટેશનોની મુલાકાત કરી છે, જે તમામ સ્ટેશન પર સ્થિતિ સારી હોવાનું તેઓએ જણાવ્યું છે. સાથે જ લોકો દ્વારા મળતી ફરિયાદ અંગે સીધા સંવાદથી સમસ્યા હલ થતી હોવાનું પણ જણાવ્યું. તેમજ પ્રથમવાર ટ્રેન વ્યવહાર બંધ રહ્યો અને કોરોનામાં રેલવે એ જે કામગીરી કરી તેનો પણ ઉલ્લેખ કરી રેલ્વે કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
મહત્વનું છે કે દેશમાં 8500 રેલ્વે સ્ટેશન છે અને 13 હજાર જેટલી ટ્રેન ચાલી રહી છે. જ્યાં કોઈ ને કોઈ અગવડતા હોવી તે સ્વભાવિક બાબત છે. ત્યારે તમામ જગ્યા પર વ્યવસ્થા યોગ્ય છે તેનું નિરીક્ષણ યાત્રી સેવા સમિતિ કરે છે. જેમાં પહેલા 17 રાજ્યોના 200 સ્ટેશન અને હાલમાં 10 ડિવિઝનના 35 સ્ટેશનની મુલાકાત કરી હોવાનું યાત્રી સેવા સમિતિના ચેરમેને જણાવ્યું. સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધીનગર રેલવે સ્ટેશન સહિત સ્થળના વખાણ કર્યા. તો વડનગરના સ્ટેશન પર વાઇફાઇ સહિતની સુવિધા શરૂ કરી તેમ પણ જણાવ્યું અને રેલ્વે વિભાગને વધુ હાઈટેક બનાવવા સાથે મુસાફરોને લગતી તમામ સુવિધા સારી રીતે અપાઇ રહી હોવાનું અને ક્યાંય ખામી હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ તેંમની સમિતિ કરી રહી હોવાનું પણ જણાવ્યું.
સાથે જ યાત્રી સેવા સમિતિના ચેરમેન રમેશચંદ્ર રત્નએ કાર્યક્રમમાં હાજર તમામ લોકોને સ્વચ્છતા અને ગાંધીના મૂલ્યોને અપનાવવાના શપથ લેવડાવ્યા. જેથી શહેર, રાજ્ય અને દેશ એક નવા પથ પર ચાલી દેશનો વિકાસ કરી શકે.