રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના શણગાર માટે તૈયાર કરાયા ખાસ વાઘા, જાણો આ વર્ષે ખાસ ક્યાં કલરના વાઘામાં વ્હાલો દેશે દર્શન?

અમદાવાદમાં યોજાનારી ૧૪૯મી જગન્નાથ રથયાત્રા માટે ભગવાનના વિશેષ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાન માટે 6 જોડી વાઘા તૈયાર કરાયા છે. જેમા સોનાવેશ, મંગળા આરતી, રથયાત્રા અને અખાત્રીજના વાઘાનો સમાવેશ થાય છે.

રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના શણગાર માટે તૈયાર કરાયા ખાસ વાઘા, જાણો આ વર્ષે ખાસ ક્યાં કલરના વાઘામાં વ્હાલો દેશે દર્શન?
| Edited By: | Updated on: Jul 09, 2026 | 6:52 PM

અષાઢી બીજના પાવન પર્વે યોજનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભક્તો આતુરતાથી આ દિવસની રાહ જોઈ રહ્યા છે. આ દિવસે ભગવાન ખુદ ભક્તોને સામે ચાલીને દર્શન દેવા આવતા હોય છે ત્યારે ભક્તોનો ઉત્સાહ પણ બેવડાઈ જતો હોય છે અને તેમના વ્હાલાને વધાવવા માટેની એક તક પણ તેઓ છોડવા માગતા નથી હોતા. ભગવાન પણ સજી ધજીને ભક્તોને દર્શન દેવા માટે નીકળે છે ત્યારે ભગવાનના વાઘા પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ભક્તો માટે હંમેશા એ જિજ્ઞાસા રહે છે કે ભગવાન કેવા વસ્ત્રોમાં સજીધજીને તેમને દર્શન દેવા માટે આવશે.

અમદાવાદમાં 16 જૂલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલાની વિધિ માટે ભગવાનના વિશેષ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. મોઢવાડાની પોળમાં રહેતા સુનિલભાઈ છેલ્લા 23 વર્ષથી ભગવાનના વસ્ત્રો તૈયાર કરે છે. ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા માટે બનારસી સિલ્ક, કલક્તી સિલ્ક અને વેલવેટના કપડામાંથી વિશેષ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. મિરર વર્ક, ટીકી વર્ક, રેશમ વર્ક, કસીદા અને ડાયમંડ ડિઝાઈનથી સજાવેલા આ વસ્ત્રો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ભગવાન માટે કૂલ 6 જોડી વાઘા સાથે કલગી અને પાઘડી પણ તૈયાર કરવામાં આવી છે.

સોનાવેશ માટે લાલ અને સોનેરી રંગના વાઘા

એકમના દિવસે સોનાવેશ માટે ભગવાન માટે ખાસ સોનેરી વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. સોનાવેશના દિવસે ભગવાન સૂવર્ણના આભૂષણો ધારણ કરે છે. ત્યારે સોનાવેશના દર્શન માટે રાણી ગુલાબી કલરના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. જેનાથી ભક્તોને દૂરથી પણ સોનાવેશમાં સજ્જ ભગવાનના આભૂષણો સાથે દર્શન થાય. રાણી કલરમાં સોનાના આભૂષણો દીપી ઉઠતા હોવાથી આ કલરની પસંદગી કરવામાં આવી છે.

મંગળા આરતી માટે ખાસ લાલ કલર પર પસંદગી ઉતારવામાં આવી છે. ભગવાન વિષ્ણુને પણ અત્યંત પ્રિય એવા લાલ કલર પીળા પિતાંબર, જરકશી જામો, જરકશી ટીકી સાથે અને રેશમ વર્ક સાથેના વાઘા તૈયાર કરાયા છે.

રથયાત્રાના દિવસે ખાસ ગુલાબી રંગના વાઘા

ભક્તોને સૌથી વધુ દર્શનની તાલાવેલી હોય તે અષાઢી બીજ ની રથયાત્રા માટે ભગવાનના ખાસ ગુલાબી રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. ગુલાબી રંગ મોહક હોય છે અને શીતળતા આપનારો હોય છે. ત્યારે ભગવાન સહુનું જીવન ગુલાબી રાખે, ભક્તોના મન મોહી લે તેવા આશય સાથે ગુલાબી રંગની પસંદગી કરવામાં આવી છે.

ત્રીજના દિવસે પ્યોર સિલ્કના હળવાફુલ વાઘા

રથયાત્રાના દિવસે આખો દિવસ નગરચર્યા કરીને ભગવાન થાક્યા હોય છે, આથી ત્રીજના દિવસે ભગવાન માટે પ્યોર સિલ્ક અને ટિકી વર્કના વાઘા હળવા ફુલ વાઘા તૈયાર કરાયા છે.  જેનાથી ભગવાનનો થાક પણ ઉતરી જશે.

રામના મુગુટ જેવી વિશેષ પાઘડી

આ વર્ષે ખાસ રામના શણગાર જેવી હેન્ડવર્કથી તૈયાર કરેલી પાઘ તૈયાર કરાઈ છે. જે ભગવાન મંગળા આરતી દરમિયાન ધારણ કરશે. આ વર્ષે ખાસ રામમુગુટ જેવી પાઘ તૈયાર કરવામાં આવી છે. ન માત્ર ભગવાન પરંતુ સુભદ્રાજી માટે પણ વિશેષ પાઘ તૈયાર કરાઈ છે. જેની ડિઝાઈન વૃંદાવનના રાધા મુગુટ જેવી તૈયાર કરવામાં આવી છે.

Input Credit- Jignesh Patel- Ahmedabad

Breaking News: સુરતમાં આવેલા ઘોડાપૂરની સ્થિતિ જોઈ CM ભૂપેન્દ્ર પટેલ થયા લાલઘુમ, સમીક્ષા બેઠકમાં અધિકારીઓનો લીધો ઉધડો

Published On - 6:46 pm, Thu, 9 July 26

Follow Us