
અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદના પુત્ર વજેન્દ્ર પ્રસાદ પાંડેએ પોતાની પત્ની તથા સાસરિયા સહિત કુલ છ લોકો વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપોની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં આર્થિક છેતરપિંડી, દબાણ તેમજ વ્યક્તિગત સ્તરે નુકસાન પહોંચાડવાના આરોપો સામેલ છે.
ફરીયાદ મુજબ, લગ્ન બાદ વજેન્દ્ર પ્રસાદ પોતાની પત્નીને હનિમૂન માટે બાલી લઈ ગયા હતા. તે દરમિયાન પત્નીએ તેમને કેફી પાવડર પીવડાવ્યાનું આક્ષેપ કરવામાં આવ્યું છે. ત્યારબાદ પત્ની અને તેના પરિવારજનો દ્વારા રૂપિયા પડાવવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું વજેન્દ્ર પ્રસાદે પોલીસને જણાવ્યું છે.
વજેન્દ્ર પ્રસાદના જણાવ્યા મુજબ, આ રીતથી તેમની પાસેથી આશરે 11 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા. વધુમાં, આરોપીઓએ 100 કરોડ રૂપિયાની માગણી પણ કરી હોવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યો છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ, પત્ની તથા સાસરિયા અલ્હાબાદના નિવાસી છે અને તેઓ આ સમગ્ર ઘટનામાં સંકળાયેલા છે.
ઘાટલોડિયા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધ્યો છે અને હાલ મામલાની વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. પોલીસ સૂત્રો અનુસાર, આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ પુરાવા, નાણાકીય લેવડદેવડના રેકોર્ડ અને સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવશે.
પોલીસે જણાવ્યું છે કે હજી સુધી આક્ષેપો સાબિત થયા નથી અને મામલો તપાસ હેઠળ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ કાનૂની કાર્યવાહી આગળ વધશે.
Published On - 11:16 pm, Fri, 15 August 25