Ahmedabad : ફાયર સેફટી મુદ્દે હાઇકોર્ટએ ગુજરાત સરકારને લગાવી ફટકાર, કહ્યું કે-પાલન ન થતું હોય ત્યાં કાર્યવાહી કેમ નહીં
Ahmedabad : ફાયર સેફટી (Fire Safety) મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) ચાલી રહેલી સુનાવણીમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે.
Ahmedabad : ફાયર સેફટી (Fire Safety) મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) ચાલી રહેલી સુનાવણીમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. આ સાથે જ કહ્યું છે કે, રહેણાંક વિસ્તારમાં હોસ્પીટલ હોય અને ત્યાં ફાયર સેફટીનાં નિયમોનું પાલન ન થતુ હોય તો આવા કેસોમાં કાર્યવાહી કેમ યોગ્ય રીતે થતી નથી.
આ સાથે જ ગુજરાત હાઇકોર્ટ ગુજરાત સરકારને જણાવ્યું હતું કે, કેટલાંક નિયમો છે જેનું પાલન થવુ જરૂરી છે જે મામલે સરકાર અને કોર્પોરેશન તરફથી સોગંદનામામાં ઉલ્લેખ કરાયો હતો. રહેણાંક વિસ્તારમાં હોસ્પીટલ હોય તો ત્યાં ફાયરનાં નિયમોનું પાલન થવુ જરૂરી છે.
આ સાથે જ જણાવ્યું હતું કે, જે તે હોસ્પીટલમાં દર્દીઓ દાખલ થતાં હોય તો ત્યાં રોડની પહોળાઇ અને અન્ય નિયમોનું પાલન થવુ જોઇએ. ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી શકે છે કે નહિં, તેમજ દર્દીઓને બહાર કાઢવા માટે એન્ટ્રી અને એગ્ઝિટની સુવિધા છે કે નહિં તે પણ જાણવું જોઈએ. ફાયર સેફટીને લઇને યોગ્ય રીતે સમયાનુસાર ચેકિંગ કરાવવુ જરૂરી છે.
આગની ઘટના બને તે સમયે હોસ્પીટલ કર્મીઓએ દર્દીઓને તેમજ પોતાને બચાવવા શું કરવુ એ બાબતની ટ્રેનિંગ હોવી જરૂરી છે. બિલ્ડીંગ પરમિશન માટેની પ્રક્રિયા પણ પુર્ણ થયેલી હોવી જરૂરી છે. રહેણાંક વિસ્તારમાં બીયુ પરમિશન માટેની પ્રક્રિયાનું પણ પાલન થવુ જરૂરી છે.
સૌપ્રથમ અમદાવાદની શ્રેય હોસ્પીટલ અને ત્યારબાદ રાજકોટ, વડોદરા અને ભરૂચ તેમજ અન્ય શહેરોમાં લાગેલી આગ બાદ હાઇકોર્ટનું વલણ નિયમ પાલન અંગે ખુબ આકરુ રહ્યુ છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા એફિડેવિટમાં ગાંધીનગર પાટનગરમાં જ 40 સરકારી ઇમારતોમાં ફાયર સેફટીનાં નિયમોનું પાલન થતુ નથી.
સુનાવણી પહેલાંના દિવસે અમદાવાદ અને સુરત મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કરાયેલી સિલીંગની કામગિરી ફક્ત દેખાવ પુરતી હોય એમ લાગે છે. હાઇકોર્ટે પાછલી સુનાવણીમાં ટકોર પણ કરી હતી કે આ ઓનગોઇંગ પ્રક્રિયા છે. જે સમયાંતરે અધિકારીઓની જવાબદારી પ્રમાણે થવી જ જોઇએ. આ રીતે નિયમોનું પાલન ન કરનારા સામે કડક પગલાં લેવાય તો નિયમોનું પાલન થશે નહિં તો લોકો આ બાબતને ગંભીરતાથી લેશે નહિં.