AHMEDABAD : ગુજરાતમાં ફાયર સેફ્ટીના ( Fire Safety ) મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં (GUJARAT HIGH COURT) હાથ ધરાયેલી સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરતા એડવોકેટ જનરલે કહ્યુ કે, 2450 હોસ્પિટલ, 3894 શાળા અને 5693 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ પાસે ફાયરબ્રિગેડનું ના વાંધા પ્રમાણપત્ર (NOC) નથી. ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે, ગુજરાતભરની એવી ઈમારતોની વિગતો રજૂ કરો કે જેમની પાસે ફાયર સેફ્ટીનું એનઓસી ના હોય, બી યુ (B U) પરમીશન ના હોય. આવી ઈમારતોના આંકડા નથી જોઈતા, નામ જોઈએ છે જેથી તેમની સામે કાર્યવાહી કરી શકાય.
ગુજરાત હાઈકોર્ટે, ફાયર સેફ્ટી ( Fire Safety ) મુદ્દે આકરુ વલણ દાખવતા કેટલાક સવાલો એડવોકેટ જનરલને પુછ્યા હતા. હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, હોસ્પિટલ, શાળા, ઈન્ડસ્ટ્રીયલ એકમો પાસે ફાયરબ્રિગેડનું ના વાંધા પ્રમાણપત્ર નથી તો અધિકારીઓ તેમની સામે કેવી કાર્યવાહી કરી ? તેમની જવાબદારી નક્કી કરો. માત્ર છ ઈમારતોને સીલ કરવામા આવી છે. હાઈકોર્ટ દ્વારા કરાયેલા નિર્દેશોનું પાલન નથી કરાયુ. હાઈકોર્ટ કોઈ આદેશ કરે તે પહેલા જે તે સતાતંત્રે પણ કેવા પગલા ભર્યા છે તેની વિગતો પણ રજૂ કરવા જણાવ્યુ છે.
ફાયર સેફ્ટીના મુદ્દે સુનાવાણી શરુ થઈ ત્યારે શ્રેય હોસ્પિટલ તરફથી એડવોકેટે એવી દલિલ કરી હતી કે, શ્રેય હોસ્પિટલ સામે કેસ કર્યો છે. તપાસપંચે તપાસ પૂર્ણ કરી છે. ચાર્જશીટ પણ કરી દેવાઈ છે ત્યારે અમારે હોસ્પિટલ શરૂ નથી કરવી પરંતુ હોસ્પિટલમાં રહેલા કિંમતી આરોગ્યલક્ષી ઉપકરણો લઈ જવા માટે હોસ્પિટલનું સીલ ખોલવામાં આવે. જો કે હાઈકોર્ટે કહ્યુ કે, મૃતકના પરિવારને કોઈ સહાય ચૂકવાઈ છે તેવો સવાલ કરીને હાલ આ મામલે કોઈ હુકમ કરવા ઈન્કાર કર્યો હતો.
સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવાયુ હતું કે, કેટલીક હોસ્પિટલને કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરાઈ છે. જેમાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે અને કેટલીક હોસ્પિટલમાં મ્યુકરમાયકોસીસના દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. બધા જ નિયમોનુ પાલન કરવુ અનિવાર્ય છે. ફાયર બ્રિગેડ દ્વારા વિવિધ ઈમારતોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. અને જ્યા ફાયર એનઓસી ના હોય તેમને નોટીસ આપવામાં આવી છે.
Published On - 2:51 pm, Tue, 25 May 21